મોરબી: રંગમંચ લલીતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીના મુખ્ય ઉત્સવો પૈકીનો ઉત્સવ એટલે નાટ્યશાસ્ત્રના સ્થાપક ભરતમુનિ જયંતિ ઉત્સવ, જે મહા મહિનાની પૂર્ણિમાએ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લા સંસ્કાર ભારતી સમિતિ અને સાર્થક વિદ્યામંદિર આદિકલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ મોરબીની સાર્થક વિદ્યામંદિર મુકામે ભરતમુની જયંતિ ઉત્સવ અને નટરાજ પૂજન કાર્યક્રમ યોજાયો હતો.સામાજિક સંદેશના જીવંત કલાદર્શન સાથે સાહિત્ય, સંગીત, ચિત્ર અને સ્થાપત્યના કુદરતી માનવ જીવનને પ્રતિબિંબ કરતા કલા સાધકો માટે પવિત્ર આરાધનાનો ઉત્સવ એ ભરતમુની દિવસ છે. ભરતમુનીનું નાટ્યશાસ્ત્ર એ ભારતીય સાહિત્યની ગૌરવગાથાનો ઘ્વજ છે. કાર્યક્રમની શરૂઆત સંસ્કાર ભારતી ધ્યેયગીતથી કરાઈ હતી. ઉપસ્થિત સહુ દ્વારા નટરાજ પૂજન કરાયું હતું, બાદમાં આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મોરબીના જાણીતા વેદાંતચાર્ય અને નાટ્યશાસ્ત્ર પર Phd કરનાર ડો. દિલીપભાઈ વ્યાસ દ્વારા ભરતમુની અને નાટ્યશાસ્ત્ર પર રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. જ્યારે સાર્થક વિદ્યામંદિર આદિકલા કેન્દ્રના કલાકારો દ્વારા સુંદર નાટ્યની પ્રસ્તુતિ કરાઈ હતી. કાર્યક્રમમાં મુખ્યઅતિથિ તરીકે સાર્થક વિદ્યામંદિરના પ્રિન્સિપાલ વિવેકભાઈ શુકલા અને મોરબી જીલ્લા સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા મહામંત્રી પ્રાણજીવનભાઈ પૈજા કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા, લોકકલા સંયોજક રવિરાજભાઈ પૈજા, સાહિત્ય સંયોજક ડો. બ્રિજેશભાઈ બરાસરા, કલાધરોહરના કમલેશભાઈ નગવાડીયા સહીત સંસ્કાર ભારતી સમિતિના સદસ્યો અને કલા સાધકો જોડાયા હતા.