મોરબી : મોરબી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં 8 આરોપીઓએ રેગ્યુલર જામીન પર છુટવા કોર્ટમાં અરજી કરતા આજે નામદાર મોરબી કોર્ટ દ્વારા તમામ આઠ આરોપીઓની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી. 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી કાળમુખી મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં પોલીસે ઓરવા કંપનીના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરી હતી. આ આઠ આરોપીની જામીન અરજી અંગે નામદાર મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરી આ ગંભીર દુર્ઘટના જોતા તમામ આરોપીઓની જામીન અરજી ના મંજુર કરી હતી. વધુમાં કોર્ટમા આઠ આરોપીઓની જામીન અરજી સંદર્ભે સરકારી વકીલ જાની અને આરોપીઓને વકીલના દલીલોના ધ્યાને લઈને આ કેસમા તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.