મોરબી : મોરબીના છેવાડાના અને પછાત વિસ્તાર લાયસન્સ નગરની પ્રાથમિક શાળા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તથા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે ગત તા. 24/10/2019ના રોજ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આશરે 250થી દર્દીઓને તપાસી જરૂરી આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં સરકારી હોસ્પિટલના નિષ્ણાત ડો. ખ્યતિબહેન ઠાકર, ડો. શ્રીબા જાડેજા, સંસ્થાના બાબુભાઇ ગામી, ધનજીભાઈ બાવરવા સહિતના કાર્યકરો, પ્રાથમિક શાળાના આચાર્ય મગનભાઈ મોરડીયા સહિતના લોકોએ કેમ્પને સફળ બનાવવા માટે વધુમાં વધુ દર્દીઓ કેમ્પનો લાભ લે તેવી જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત તા. 23 ઓક્ટોબરના રોજ સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ સંદેશો ગામલોકો સુધી પહોંચાડવાની જૂની પદ્ધતિ મુજબ ઢોલ વગાડી લાયસન્સ નગરના લોકોને આ નિદાન કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી.