ટંકારાના મેઘપર(ઝાલા) સહિતના ગામો થયા ફરીથી સંપર્ક વિહોણા ટંકારા : ટંકારા પંથકમાં હવે મેઘ પ્રકોપ વરસી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત.23 અને 24 તારીખે મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ આજે 28 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યા બાદ રાત્રીના 8 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે બે ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે આજે આવેલા વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઇંચથી વધુ પડ્યાંનું ગ્રામજનોએ જણાવ્યું છે. ટંકારા પંથકમાં આજે ફરી મેઘરાજાએ મુકામ કરી ચારેયકોર પાણી પાણી કરી ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો હતો. આજે ટંકારા ઉપરાંત નાના રામપર, મેઘપર ઝાલા, હડમતીયા, સજ્જનપર, જબલપુર, ઓટળા સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે પહેલેથી છલકાયેલા નદી નાલાઓ ફરીથી પુર આવ્યાની સ્થિતિ સર્જાઈ હતી. ટંકારા તાલુકો છેલ્લા થોડાક વર્ષોથી મેઘરાજાનું પ્રિય સ્થાન બની ગયો હોય તેમ મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ટંકારા પંથકમાં નોંધાઇ રહ્યો છે. આજે પણ માત્ર ટંકારામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબી જિલ્લામાં અન્ય જગ્યાએ છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે મેઘરાજાની અવિરત વર્ષા હવે પ્રકોપ બની રહી હોવાથી ધરતીપુત્રો દ્વારા મેઘરાજાને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે.