મોરબી : 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવતી કાલે જ્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરી 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનનો શુભારંભ કરવામાં આવનાર છે. ત્યારે હાલમાં લોકોને આ અભિયાન બાબતે જાગૃત કરવા તેમજ મહત્તમ જન ભાગીદારીથી અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મોરબીના નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરી આજુબાજુમાં પડેલા કચરાને સાફ કરીને બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સફાઈ માટે પ્રેરિત કરતા વિવિધ ભીંતસૂત્રો લખવામાં આવ્યા હતા.આવતી કાલે ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ બસ સ્ટેન્ડ ખાતે જન ભાગીદારીથી સ્વચ્છતા એજ સેવા અન્વયે સાફ સફાઈ કરવામાં આવનાર છે જેમાં વધુમાં વધુ લોકો જોડાય અને સફાઈ કરી શ્રમદાન એ મહાદાનને સાર્થક કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ આયોજન મોરબી ડેપો મેનેજર તેમજ મોરબી નગર પાલિકાના સહયોગ થકી સફળ બનાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત ટંકારાના બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સ્વચ્છતાનો સંદેશ આપતા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા. ટંકારા બસ સ્ટેન્ડની દીવાલો પર સ્વચ્છત્તાને લગતા: મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ, સ્વચ્છતા જાળવો, સ્વચ્છતાને વેલકમ અને ગંદકીને બાય બાય, સફાઈ એક સંસ્કાર છે જે આપણને સુંદર બનાવે છે વગેરે જેવા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ભીંત સૂત્રો લોકોને સ્વચ્છતા માટે લોકોને પ્રેરિત કરે છે.