મોરબી : સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સંભવિત ભારે વરસાદને પગલે તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર જે.બી. પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લાને યલો ઝોનમાં મૂકવામાં આવ્યું છે જેથી વધારે નુકસાનની સંભાવનાઓ નહિવત છે. છતાં વહીવટી તંત્ર એલર્ટ છે. ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યું છે ઉપરાંત જિલ્લાના પાંચ તાલુકામાં તરવૈયાની ટીમ, તંત્રની સર્વેની ટીમ, રેસ્ક્યુ ટીમ વગેરે તૈનાત રાખવામાં આવી છે. એક SDRFની ટીમ પણ આવી પહોંચી છે. વાવણી લાયક વરસાદ થયો હોવાથી ૬૦ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોની વાવણી કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં બાકીની ૪૦ ટકા જેટલી જમીનમાં પણ વાવણી થઈ જવાની શક્યતાઓ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.