મોરબીના બગથળામાં ગૌમાતાને વાછરડી અવતરતા પેંડા ગૌભક્તે માનતા પૂર્ણ કરી મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા ગૌભક્તે પોતાની વ્હાલસોયી ગૌમાતાએ વાછરડીને જન્મ આપતા વાછરડીને પેંડા ભારોભાર જોખી માનતા પૂર્ણ કરી હતી. સામાન્ય રીતે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં સંતાન પ્રાપ્તિ થયે સંતાનને સાકર, પેંડા, ચાંદી ભારોભાર જોખવાની માનતા રાખવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે મોરબીના બગથળા ગામે રહેતા ગૌપ્રેમી ગોપાલભાઈ હમીરભાઇ મુંધવાએ તેમના પ્રિય એવા પાળેલા ગાયમાતાએ વાછરડીને જન્મ આપતા ગામમાં જ આવેલ શ્રી નકલંક મંદિરે વાછરડીને પેંડા ભારોભાર જોખી ખુશી સાથે માનતા પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે નવજાત વાછરડીના વજન માટે 22 કિલોગ્રામ પેંડા ઉપયોગમાં લેવા પડયા હતા. મજાની વાત તો એ છે કે, ગોપાલભાઈએ વહાલસોયી વાછરડી માટે સ્પેશિયલ પેંડા બનાવડાવ્યા હતા અને માનતા પૂર્ણ થયે તમામ પેંડા ગ્રામજનોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા.આગાઉ હળવદ તાલુકાના ગૌ ભક્તે પણ વાછરડીને તાજેતરમાં જ પેંડા ભારોભાર જોખી ગૌભક્તિના દર્શન કરાવ્યા હતા.