વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સને ટીબી રોગ અંગે જાગૃતિ અને સમયસર સારવાર વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સમાં ટીબી રોગ અંગે જાગૃતિ કેળવવા માટે એક પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ટીબી સેન્ટર, મોરબીની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ટીબી સેન્ટર મોરબીના જિલ્લા કાર્યક્રમ સંયોજક પિયુષ ડી. જોશી દ્વારા ટીબી રોગના કારણો, લક્ષણો, સારવાર, રોગથી બચવાના ઉપાયો તથા સમયસર તપાસના મહત્વ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ NCC કેડેટ્સ તથા અન્ય વિદ્યાર્થીઓનું ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી, સમાજમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા માટે તેઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મોરબી તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શૈલેશ પારેજિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આરોગ્ય જાગૃતિ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાનના ઉદ્દેશ્યો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન કાર્ય 2 ગુજરાત ગર્લ્સ NCC, રાજકોટ દ્વારા સોંપવામાં આવ્યું હતું. NCC ઓફિસર લેફ્ટનન્ટ શીતલબેન કંઝારીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ નિલેશભાઈ મિરાણી અને સતીશભાઈ વોરાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.આ સેમિનારનો મુખ્ય હેતુ NCC કેડેટ્સ તથા વિદ્યાર્થીઓમાં ટીબી રોગ અંગે જાગૃતિ ફેલાવવી, સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવા તેમજ ‘ટીબી મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમના અંતે “જાગૃતિથી બચાવ, સમયસર સારવારથી ઉપચાર — ટીબી મુક્ત ભારત માટે સૌનો સંકલ્પ” નો સંદેશો આપવામાં આવ્યો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #NavyugCollege #TBMuktBharat #NCC #HealthAwareness #YouthEmpowerment