ગૌપ્રેમીએ અજાણ્યા શખ્સ સામે ગૌવંશ પર હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે થોડા દિવસો પહેલા ગૌવંશ પર થયેલા એસિડ એટેકના હીંચકારા બનાવથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે ગૌપ્રેમીએ અજાણ્યા શખ્સ સામે ગૌવંશ પર હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના રાતીદેવડી ગામની ખારોડીયા નામથી ઓળખાતી સીમમા ગત તા.૨૫ ના રોજ કોઈ અજાણ્યા શખ્સોએ ગૌવંશ પર એસિડ છાંટીને હીંચકારો હુમલો કર્યો હતો.આ બનાવથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.ત્યારે આ બનાવમાં હવે ફોજદારી કાર્યવાહી થઈ છે.જેમાં વાંકાનેરના રાતીદેવડી ગામના ગૌપ્રેમી રમેશભાઇ વીભાભાઇ ફાંગલીયાએ અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે ,અજાણ્યા આરોપીએ રાતીદેવડી ગામ સીમ વિસ્તારના ગૌવંશના પશુ ખુંટીયા જીવ-૪ ઉપર કોઇ કારણોસર એસીડ જેવો જ્વલનસીલ પદાર્થ નાખી ખુંટીયાઓને ગંભીર ઇજાઓ કરી હતી.વાંકાનેર પોલીસે આ ફરિયાદ પરથી આરોપી સામે પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.