વિદ્યાર્થિની બહેનો સવારે 8-30 થી 12-30 સુધી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વાંચી શકશેવાંકાનેર : આજ રોજ તારીખ 30 જુલાઈના રોજ વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયમાં પ્રેરણા સ્રોત સ્વ. લલિતભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે અને શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની રજતજયંતિની ઉજવણી નિમિત્તે શાળા દ્વારા એક નવું સોપાન 'સંક્ષમ' વાંચનાલય શરૂ કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થિની બહેનો અને વાંકાનેરની બહેનો કે જે અન્ય જગ્યાએ વાંચન માટે નથી જઈ શકતી તેમના માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડશે.આ અંતર્ગત શાળાના અભ્યાસ કરીને બહાર ગયેલા પૂર્વછાત્રો અને અન્ય બહેનો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમના માટે આજ રોજ 'સંક્ષમ' વાંચનાલય શરૂ કરવામાં આવ્યું છે. આની શુભ શરૂઆતમાં શાળાના ટ્રસ્ટી, પ્રમુખ અન્ય નિમંત્રિતો અને સીઆરસી ઈકબાલભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાલયમાં ભણીને ગયેલા પૂર્વછાત્ર બહેનો અને વાંકાનેરની દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને સરકારી નોકરી પ્રાપ્ત કરી આ ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધે તેવા શુભ આશયથી આ વાંચનાલય ફક્ત બહેનો માટે શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થિની બહેનો સવારે 8-30 થી 12-30 કલાક સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો જે ખૂબ ઊંચી કિંમતના છે તે પણ વિનામૂલ્યે શાંત અને સુરક્ષિત વાતાવરણમાં વાંચન કરી શકશે. આ વાંચનાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા બધા પુસ્તકો પણ શાળા દ્વારા ખરીદવામાં આવ્યા છે. આજે સંસ્થા ના 25 વર્ષ પૂર્ણ થતા એક સાચા ઉદ્દેશ્યથી અને સ્વ. લલિતભાઈ મહેતાની પ્રેરણાથી અને સૌ ટ્રસ્ટીઓ અને પૂર્વછાત્રોના સહયોગથી આ કાર્ય શરૂ કરાયું છે. જેનો શ્રેષ્ઠતમ લાભ લઈને ઘણી બધી બહેનો કારકિર્દી નિર્માણ કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકશે એવી જ અભ્યર્થના છે.