મંદિર પરિસરમાં કેસરી, સફેદ અને લીલી ટોપીમાં ઉપસ્થિત હરિભક્તોએ સુંદર તિરંગાની આભા ઉભી કરી મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં ભારતના ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ખાતે મંદિર પરિસરમાં પૂજ્ય મહંતસ્વામીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ વર્ષથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પર્વે વડાપ્રધાનશ્રીના આદેશ અનુસાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર મંદિર પરિસરોને ત્રિરંગા ધ્વજો અને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે. અને મંદિર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં પણ આવ્યો છે. આજના ૧૫મી ઓગસ્ટના દિને વહેલી સવારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ખાતે મંદિર પરિસરમાં સંસ્થાના પ.પૂ.મહંતસ્વામી મહારાજની સાથે તમામ સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં કેસરી, સફેદ અને લીલી ટોપીમાં ઉપસ્થિત હરિભક્તોએ સુંદર તિરંગાની આભા ઉભી કરી હતી. પ.પૂ.મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તો રાષ્ટ્રગાન અને વંદેમાતરમ ગાનમાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય દિને પરમ પૂજ્ય મહંતસ્વામિ મહારાજે જણાવ્યું હતું કે, ‘આજે ખૂબ આનંદની વાત છે કે ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે એ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ખાસ તો આપણા પૂર્વજો, જેમણે આઝાદી માટે પુરુષાર્થ કરેલો એ બધાને પણ આપણે યાદ કરીએ. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પણ પોતાનું સમગ્ર જીવન ભારતનું ગૌરવ વધે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારો વધે એ માટે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી પ્રચાર કરેલો છે એમને પણ યાદ કરીએ. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને નવાગામ પાસે ગાંધીજી મળ્યા ત્યારે ભારત દેશની સ્વતંત્રતા માટે આશીર્વાદ આપેલા અને ગુરુ યોગીજી મહારાજને રોજ 25 માળા કરવાની આજ્ઞા કરેલી. અત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણે સૌ આપણા ઘરે તિરંગો ફરકાવીએ કારણ કે તિરંગો એ આપણો રાષ્ટ્ર ધ્વજ છે અને ભારતનું ગૌરવ છે. આપણા દેશની સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણા મુલ્યોનું પણ પ્રતિક છે. તો સરકારશ્રીના આદેશ મુજબ આપણે સૌ આપણા ઘરે તિરંગો ફરકાવીએ અને તિરંગાને માન આપીએ, સન્માન કરીએ. આપણે સૌ પણ આપના હૃદયની અંદર અમૃત મહોત્સવની ભાવનાને વધારે દ્રઢાવીએ તેમ જણાવ્યું હતું.