હીરાભાઈને ખોટી રીતે ફસાવી આહીર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવાનું ષડયંત્ર હોવાનો આરોપ મોરબી : કોંગ્રેસના નેતા અને આહીર સમાજના અગ્રણી અને ભામાશા હીરાભાઈ જોટવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ધરપકડના વિરોધમાં આજે 2 જુલાઈના રોજ આહીર સેના મોરબી જિલ્લા તથા આહીર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં મોરબી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આહીર સમાજ અગ્રણી તથા સર્વે સમાજને સાથે રાખી ચાલનાર દાનવીર અને ભામાશા હીરાભાઈ જોટવા વિરુદ્ધ તદ્દન ખોટી તેમજ પાયાવિહોણી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું આહીર સમાજના અગ્રણીઓ અને લોકોએ જણાવ્યું હતું. કોઈ રાજકીય કિન્નાખોરી રાખી સતત લોકોમાં હીરાભાઈના વધતા જતા પ્રભાવને જોઈ કોઈ પણ યોગ્ય પુરાવા વિના સીધી સંડોવણી ન હોવા છતા કોઈ પણ ભોગે હીરાભાઈને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. હીરાભાઈ ને ખોટી રીતે ફસાવીને આહીર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હોય જે યોગ્ય નથી તેથી તટસ્થ તપાસ કરવા માગ કરી હતી. આમ સ્વયંભૂ આહીર સમાજે તેમની સાથે ઉભો રહેવાનું નક્કી કર્યું છે ત્યારે આહીર સેના મોરબી જિલ્લા તેમજ આહીર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.