તંત્ર હત્યારાઓની ભાળ મેળવવા કોઈ એક નક્કર કડી પણ મેળવી ન શકી હોવાનો વસવસો : ન્યાય અપાવવા હતભાગી પરિવારની મુખ્યમંત્રીને રજુઆતમોરબી : મોરબીના ચકચારી નિખિલ હત્યાકાંડને 8 વર્ષ પુરા થવા છતાં હતભાગી પરિવારને યોગ્ય ન્યાય મળ્યો નથી. આથી આ હતભાગી પરિવાર આજે આઠ વર્ષે પણ ન્યાય માટે ભારે રઝળપાટ કરી રહ્યો છે. જો કે આ હત્યા કેસમાં સ્થાનિક પોલીસ બાદ સીઆઈડી ક્રાઈમ ટીમને તપાસ સોપાયાને ઘણો સમય વીતી જવા છતાં હજુ પણ હત્યારાને પકડવાની વાત બાજુએ રહી પણ આ બનાવની એક પણ કડી મેળવી શકી નથી. આથી હતભાગી પરિવારે આજે તેમના પુત્રની આઠમી પુણ્યતિથિએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય માટે ખોળો પાર્થર્યો છે.મોરબીની સૌથી વધુ કંલકિત નિખિલ હત્યાકાંડની આઠમી વર્ષગાંઠે તેના પિતા પરેશભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે, તેમના 14 વર્ષીય માસૂમ પુત્ર નિખિલનું ગત તા.15/12/2015ના રોજ તેની શાળાએથી અપહરણ થયા બાદ બે દિવસ પછી તા.17/12/ 2015ના રોજ રામઘાટ પાસેથી કોથળામાં પેક કરી ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આથી સ્થાનિક પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. પણ સ્થાનિક પોલીસ આ કેસમાં કઈ જ ખાસ ઉકાળી ન શકતા જે તે સમયે સીઆઈડી ક્રાઈમને તપાસ સોપાયાને પણ લાંબો સમય વીતી જવા છતાં સીઆઈડી ટીમની તપાસ ઠેરની ઠેર રહી છે. બનાવના દિવસે તેમના પુત્રને શાળાએ કોઈ શખ્સ એક્ટિવા પાછળ બેસાડીને ક્યાંક લઈ જતો હોવાનું શાળાના સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. કેમેરાની હદ શાળાના કંપાઉન્ડ સુધી જ હોય એથી આગળ આ શખ્સ ક્યાં લઈ જાય છે ?અને કોણ તેની ક્યાં કારણોસર હત્યા કરે છે ? તેની કોઈ માહિતી મળી જ નથી. આથી અત્યાર સુધીમાં તપાસ આ સીસીટીવીમાં દેખાતા ફુટેજથી આગળ વધી જ શકી નથી. જો કે પરિવારે તેમના પુત્રની હત્યા પાછળ કોઈ મોટા વગદારનો હાથ હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમ છતાં આ દિશામાં કોઈ તપાસ થઈ નથી.જો કે અઘરામાં અઘરા કેસ ઉકેલી શકવા પોલીસ દળ સક્ષમ હોવા છતાં આઠ-આઠ વર્ષે પણ ન્યાય ન મળવો એ ગંભીર બાબત ઉધયની જેમ કોરી ખાય છે. એવું તો કોનું પ્રેશર છે? કે આ કેસ આટલા વર્ષો સુધી દબાય રહ્યો અને સાચા આરોપીઓને પકડવામાં કેમ પોલીસ નાકામ રહી ? તેવું જણાવીને પરિવારે સીએમ સમક્ષ પુત્રના સાચા હત્યારાઓને પકડી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.