Morbi: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત 19મી જૂનથી ચોમાસુ સિઝન શરૂ થશે. ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે.ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.માર્ગદર્શિકામાં વધુમાં જણાવ્યાનુસાર, બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય.આ ઉપરાંત ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવો, તેમ ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.