આદિવાસીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર માટે પ્રમુખસ્વામી મહારાજે કરી હતી રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિ કષ્ટો વેઠીને આદિવાસીઓના સર્વાંગી ઉત્કર્ષની ગંગા વહાવનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં સમાજનાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો મોરબી : આજે ‘આદિવાસી ગૌરવ દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના અનેકવિધ ધાર્મિક, ઓદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓની સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાના નિ:સ્વાર્થ પ્રેમ અને અધ્યાત્મબળથી આદિવાસી બંધુઓના ઉત્કર્ષ માટે રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં અવિસ્મરણીય યોગદાન આપનાર પ્રમુખસ્વામી મહારાજ એક વિરલ સંત હતા. આદિવાસી ભાઈઓમાં પરમાત્માનાં દર્શન કરતાં પ્રમુખસ્વામી મહારાજ તેઓને સ્વજન માનતા. આદિવાસીઓનાં જીવન ઉદ્ધારની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે સંતો અને મંદિરોની ભેટ આપી. આદિવાસી છાત્રાલય, શાળા પરિસરો અને ફરતાં દવાખાનાઓ દ્વારા તેમની કરુણા સદા આ વનવાસી ભાઈઓ તરફ વહેતી રહી. આદિવાસી ઉત્કર્ષ કાજે સન ૧૯૭૭ માં સાબરકાંઠામાં પ્રમુખસ્વામી મહારાજે ૪૫ ડિગ્રી ગરમીમાં માટે ૯૧ ગામોમાં અને સન ૧૯૭૯ માં ૨૧ દિવસમાં પંચમહાલ અને ભરૂચ જિલ્લાના ૯૫ ગામોમાં અભૂતપૂર્વ વિચરણ કર્યું હતું. અંતરિયાળ ગામોમાં કષ્ટો વેઠીને વિચરતા પ્રમુખસ્વામી મહારાજે ગરીબી, વહેમ, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વ્યસનોમાં ડૂબેલા અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે જઈને તેમનાં જીવન પવિત્ર સંસ્કારોથી સમૃદ્ધ કર્યા. ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હિંમતનગર સંગીત વૃંદ દ્વારા કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આદિવાસી ઉત્કર્ષના ભગીરથ કાર્યને વર્ણવ્યું હતું. ‘ટીંબલી’ આદિવાસી નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં વંદના કરવામાં આવી હતી. BAPS ના વિદ્વાન સંત પૂ. જ્ઞાનનયન સ્વામીએ ‘વનવાસીઓના વનમાળી પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વનવાસીઓ પર કરેલી સ્નેહવર્ષાને વર્ણવી હતી. ત્યારબાદ ‘આદિવાસીઓના ઉદ્ધારક પ્રમુખસ્વામી મહારાજ’ વિડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ આદિવાસીઓના ઉત્કર્ષનું વિરાટ કાર્ય કરનાર પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.