શ્રમિકોની ઓળખ માટે મેગા ઝુંબેશ શરૂ કરાશે : મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સપેકશન માટે આવેલ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની મહત્વપૂર્ણ જાહેરાત મોરબી : મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સપેકશન માટે આવેલ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં તેઓએ વ્યાજખોરો વિરુદ્ધ હજુ પાસા હેઠળ કાર્યવાહી થશે અને આઇટીને પણ જાણ કરાશે એમ જણાવ્યું હતું. સાથે તેઓએ શ્રમિકોની ઓળખ માટે મેગા ઝુંબેશ શરૂ કરવાનું કહ્યું હતુ. મોરબી જિલ્લા પોલીસનું રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે વર્ષ દરમિયાન કરેલી કામગીરી અંગે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તમામ માહિતી મેળવી હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં બે દિવસ ચાલી હતી. આ અંગે રેન્જ આઇજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબી જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી છે. જિલ્લા પોલીસ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા સજ્જ છે. અહીં ગુના ઉપર કંટ્રોલ સારો છે. જાહેર સલામતી અર્થેની કામગીરી ભવિષ્યમાં પણ સારી રહેશે તેવી અપેક્ષા છે. વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે જે ઝુંબેશ છેડવામાં આવી છે. તેમાં મોરબી જિલ્લામાં પણ મહત્વની કામગીરી કરવામાં આવી છે. હજુ વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઇન્કમ ટેક્ષને પણ જાણ કરવામાં આવશે. રેન્જ આઈજીએ ટ્રાફિક પ્રશ્ન અંગે જણાવ્યું કે પાલિકા સાથે મળીને અધિકારીઓ પાર્કિંગ પ્લોટ વગેરે અંગે ચર્ચા કરી ટ્રાફિક હળવો કરવા પ્રયત્ન કરશે.