જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન લોરિયાએ રાજ્યમંત્રી,કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ભાઉને કરી રજુઆત મોરબી :મોરબી જિલ્લાનો સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં રહેલા પીપળી- અણિયારી રોડને તાત્કાલિક રિપેર કરવા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ મુખ્યમંત્રીથી લઈ રાજ્યમંત્રી,કેબિનેટ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ ભાઉ સમક્ષ માંગ કરી છે. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, પીપળી- જેતપર રોડ પર 400 જેટલી ફેકટરી આવેલી છે અને રાજ્ય અને કેન્દ્ર સરકારને કરોડોનું હૂંડિયામણ કમાઈ આપે છે પરંતુ અને આ રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવાર જવર થાય છે અને આ રોડ માં 7 જેટલા ગામો અને ઉદ્યોગોના અંદાજે દરરોજ 50 હજાર જેટલા લોકોની અવર જવર રહે છે.આ રોડ મોરબી જિલ્લાનો સૌથી ખરાબમાં ખરાબ રોડ છે. વધુમાં છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં રહેલા જેતપર પીપળી રોડ ઉપર ઠેર- ઠેર ખાડા ખબડા ને કારણે દરરોજ અકસ્માતના બનાવો બને છે એક અંદાજ મુજબ એક મહિનામાં 20 થી વધુ અકસ્માતો થાય છે. જેમાંથી 5 થી વધુના મોત થાય છે અને 21 કિમીના રસ્તાને કાપતા ઓછામાં ઓછી દોઢ કલાક જેવો સમય થાય છે.આનાથી માનવ કલાક અને મહામુલું પેટ્રોલ - ડીઝલનો પણ ભયંકર વેડફાટ થાય છે.આથી વહેલામાં વહેલી તકે આ રોડનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. બાંધકામ સમિતિ ચેરમેન લોરિયાએ મુખ્યમંત્રીને રજુઆત કરવાની સાથે રાજ્યમંત્રી મેરજા, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પણ જેતપર પીપળી રોડ તાકીદે રીપેર થાય તે માટે ધ્યાન દોર્યું છે.