મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુદ્દાસર રજુઆત કરાઈ મોરબી : રાજકોટ-મોરબી વચ્ચે દરરોજ સેંકડો લોકો અવર-જવર કરી રહ્યા છે ત્યારે રાજકોટ બેડી ચોકડીએ ટ્રાફિકની કાયમી સમસ્યાને કારણે કિંમતી માનવ કલાક અને ઇંધણનો વ્યય થઈ રહ્યો હોય મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને મુદ્દાસર રજુઆત કરી વહેલી ટેકે રાજકોટ બેડી ચોકડીએ ઓવરબ્રીઝ બનાવવા માંગણી કરવામાં આવી છે. ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરતા જણાવ્યું છે કે, રાજકોટ - મોરબી હાઇવે ઉપર બેડી ચોકડીએ ટ્રાફિકજામનો પ્રશ્ન રોજિંદો બન્યો છે. આ ટ્રાફિક જામને કારણે પેસેન્જર અને માલવાહક વાહનોના ઇંધણનો વ્યય થવાની સાથે કિંમતી માનવ કલાકો પણ વેડફાઈ જતી હોય સત્વરે રાજકોટ બેડી ચોકડી ખાતે ઓવરબ્રીઝ બનાવી ટ્રાફિક સમસ્યા નિવારવા પગલાં લેવા માંગ કરી છે. વધુમાં રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબીથી રાજકોટનું સામાજિક, શૈક્ષણિક,નોકરી,વ્યવસાયલક્ષી અને મેડિકલ પરિવહન મોટાપ્રમાણમાં થાય છે ઉપરાંત નજીકના ભવિષ્યમાં હિરાસર એરપોર્ટ અને એઈમ્સને કારણે આ પરિવહન વધતા ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બને તેમ હોય વહેલી તકે બેડી ચોકડીએ ઓવરબ્રીઝ નિર્માણ કરી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માંગણી કરી મુખ્યમંત્રીની સાથે સંબંધિત વિભાગોને પણ રજુઆત કરવામાં આવી છે.