ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મિટિંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા મોરબી : મોરબીના લજાઈ ખાતે ભવ્ય અને દિવ્ય ઉમિયા માનવ મંદિર નિર્માણ પામ્યું છે, જેમાં અત્યાર સુધી દીકરા વગરના કે માત્ર દીકરીઓ જ છે, નિરાધાર છે એવા દરિદ્રનારાયણનો જ પ્રવેશ આપવામાં આવતો હતો. ફાઈવ સ્ટાર સુવિધા અને 80થી વધુ એસી રૂમ ધરાવતા ઉમિયા માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના નવા નિયમો ઘડવા માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ -મોરબી સંચાલિત' માનવ મંદિર લજાઈ ખાતે પાર્ટી પ્લોટમાં તમામ દાતાઓ, ટ્રસ્ટીઓ, જવાબદાર કાર્યકર્તાઓનું સહકુટુંબ સ્નેહ મિલન તેમજ ટ્રસ્ટીગણની મિટિંગ યોજાઈ હતી. જેમાં 'માનવ મંદિર'માં પ્રવેશની પાત્રતા વિશે, સમાજની માંગ પ્રમાણે, મહત્વના સુધારાઓ નક્કી કરવામાં આવ્યા. તેમજ મોરબી જિલ્લા સહિત અન્ય વિસ્તારના સીદસર ઉમિયાધામની 'ઉમા અમૃતમ 'યોજનાના લાભાર્થીની, પાત્રતા ધરાવતા અથવા એમની સમકક્ષ પાત્રતા ધરાવતા પાટીદાર પરિવારના, વડીલોને પ્રવેશ આપવો. એવી જ રીતે બીજો મહત્વનો નિર્ણય આ પ્રમાણે લેવામાં આવ્યો કે મોરબી જિલ્લામાં, દીકરા હોય પણ, તે વડીલોની જવાબદારી કે સંભાળ રાખવા તૈયાર નથી અથવા આર્થિક પરિસ્થિતિ દયનિય છે તેવા વડીલોની સ્થળ તપાસણી કરીને યોગ્ય જણાય તો પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું આ બે મહત્વના નિર્ણયો લેવાથી સમાજના ઘણાં બધાં લોકોને લાભ મળશે એવો સમાજમાં સુર વ્યક્ત થયો હતો.આ પાત્રતા ધરાવતા વડીલો, જો આપના સંપર્કમાં હોય તો તેમને માહિતગાર કરી તેમની માહિતી સંસ્થા સુધી પહોંચતી કરવા, સૌને જાહેર તમામ ટ્રસ્ટીઓ તેમજ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપ પ્રમુખ ગોપાલભાઈ ચારોલાની યાદીમાં જણાવાયું છે.