મોરબી : માનવસેવા એ જ પરમ ધર્મના ઉદ્દેશ સાથે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા તા. 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે મોરબી સિવિલ હૉસ્પિટલના દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો તથા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ રક્તદાન શિબિરમાં અનુભવી ડોકટરોની ટીમ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા સંપૂર્ણ તબીબી તપાસ સાથે સુરક્ષિત રીતે રક્ત લેવામાં આવશે. રક્તદાતાઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સમાજના તમામ સ્વસ્થ લોકોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને આ પૂર્ણ્ય કાર્યમાં સહભાગી બનવા યાદીમાં જણાવાયું છે. પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમ કે, મેડિકલ કેમ્પ, અનાથાશ્રમ સેવા, વૃધ્ધાશ્રમ સહાય, સામાજિક જાગૃતિ કાર્યકમ, બાળકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ વગેરે કરવામાં આવ્યા છે. આ રક્તદાન શિબિર પણ એ જ સેવાભાવનાનું એક મહત્વપૂર્ણ પગથિયું છે.