કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત વચ્ચે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પ્રયોગ મોરબી : મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ સ્વચ્છતા, કોવિડ દવા છંટકાવ, વૃક્ષારોપણ જેવી બહુમુલ્ય સેવા અર્થે સતત કાર્ય હમેશ કરતી રહે છે. વિશ્વ જ્યારે કોરોના કાળમા ઓક્સિજન ઝંખી રહ્યુ છે. ચારેબાજુ લોકો ઓકિસજનની બોટલો મેળવવા માટે ઝઝુમી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત વચ્ચે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ કરી 'એક ઘર, એક વૃક્ષ'નો નવો મંત્ર અમલમાં મુક્યો છે. ઓકિસજનના ખરા ઉત્પાદક અને વરસાદ લાવવામાં ખુબજ ઉપયોગી તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખનાર, ધોમધખતા તાપમાં ઠંડક આપનાર વૃક્ષોનું વધુને વધુ વાવેતર થાય, ઉછેર થાય એ માટે જુના નાગડાવાસ સેવા સમિતિએ કમર કસી છે. ગ્રામજનો 1100 રૂપિયા પ્રત્યેક્ષ વૃક્ષ ઉછેર માટે દાન પેટે સ્વજનોની યાદગીરી રૂપે સ્વેચ્છાએ ફાળવે એવો મત સેવા સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ બેઠકમાં જ 50 દાતાઓએ પોતાનો ફાળો આપીને વૃક્ષારોપણમા મદદ કરી હતી. આવનાર સમયમાં સમિતિનો 'એક ઘર, એક વૃક્ષ'નો ટાર્ગેટ રાખીને 351 વૃક્ષો વાવવાનો અભિગમ રાખવામાં આવ્યો છે. તેમજ બેઠકમાં વધુમાં વધુ ગ્રામજનો વેક્સિન લે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી અને એ માટે પ્રચાર-પ્રસાર કરવાનું નક્કી કર્યું હતું. નોંધનીય છે કે ગામની પશ્ચિમે આવેલ એકલવીર હનુમાન અને ઐતહાસિક તળાવની પાળ પર આ વૃક્ષારોપણની વૃક્ષ વાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.