ચરાડવા મહાકાળી આશ્રમના મંહત પૂજ્ય અમરગીરીબાપુ ગુરૂ દયાનંદગિરી બાપુની પ્રેરક ઉપસ્થિતિ અને રતનેશ્વરી દેવીની સૂરમય વાણીમાં રામ-રામદેવજીના ગુણગાનટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે આવેલી પવિત્ર શ્રી રામદેવપીરની જગ્યા (પૂજ્ય કાળુરામ બાપુના આશ્રમ) ખાતે હાલ આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અનેરો ત્રિવેણી સંગમ રચાયો છે. અહીં આયોજિત 'શ્રી રામદેવ રામાયણ માનસ કથા'ના માધ્યમથી સમગ્ર પંથક ભક્તિમય બની ગયો છે. આ ધાર્મિક મહોત્સવમાં ગતરોજ શ્રી મહાકાળી આશ્રમ ચરાડવાના પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુએ વિશેષ ઉપસ્થિતિ આપી ભાવિકોને આશીર્વચન પાઠવ્યા હતા.કથાના મુખ્ય વક્તા તરીકે રામધન આશ્રમ મોરબીના મહામંડલેશ્વર પૂજ્ય રતનેશ્વરી દેવી બિરાજમાન છે. તેમણે પોતાની લાક્ષણિક અને મધુર સંગીત સૈલીમાં રામાયણ અને રામદેવજીના જીવન પ્રસંગોને એવી રીતે વણી લીધા હતા કે શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.તેઓએ રામાયણના પ્રસંગોમાં પ્રભુ શ્રીરામનો વનવાસ, આદર્શ ભાઈ તરીકેનો પ્રેમ અને મર્યાદા પુરુષોત્તમનું જીવન ચરિત્ર રજૂ કરી શ્રોતાઓને જીવનના મૂલ્યો સમજાવ્યા હતા. રામદેવપીરના પ્રસંગોમાં કથાકારે બાબા રામદેવજીના પરચા, વિશે વાત કરી હતી. પૂજ્ય અમરગીરીબાપુ જ્યારે કથા મંડપમાં પધાર્યા ત્યારે યજમાન પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમનું શાસ્ત્રોક્ત વિધિ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મહંત શ્રી રવીરામબાપુ (રામદેવપીર જગ્યા) ની પ્રેરક હાજરી રહી હતી. આ ધાર્મિક અવસરમાં અનેક સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા): રાષ્ટ્રીય સંયોજક, રાજપૂત કરણી સેના, વિજયસિંહ જાડેજા (વાડીનાર): દ્વારકા જિલ્લા અધ્યક્ષ, રાજપૂત કરણી સેના, આ ઉપરાંત રાજદીપસિંહ ઝાલા, રાજુભાઈ માકાસણા અને રાજુભાઈ પઢીયાર સહિતના આગેવાનોએ બાપુના આશીર્વાદ લીધા હતા.આવતીકાલે 'સવરા મંડપ' અને ભજનની રમઝટકથાના આયોજનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે રવિવારના રોજ વિશેષ ધાર્મિક વિધિ તરીકે 'સવરા મંડપ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રિના સમયે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને ભજનની જમાવટ કરવામાં આવશે.આ ભક્તિ કુંભમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને રસોડે પ્રસાદનો પણ હજારો લોકો લાભ લઈ રહ્યા છે. સમગ્ર મેઘપર ઝાલા ગામ અત્યારે 'જય રામદેવપીર' અને 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.