નિષ્ણાત તબીબોની ટીમ આપશે સેવા — નિઃશુલ્ક કન્સલ્ટેશન, X-Ray અને જરૂરિયાત મુજબ દવાઓનો લાભમોરબી અપડેટ (હળવદ): વિઘ્નહર્તા દેવાધિદેવ ભગવાન શ્રી ગણેશજીની આરાધના સાથે “માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના સંકલ્પને સાકાર કરવા શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા ગણપતિ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત એક વિશેષ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી રવિવાર, તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી વિશાળ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પની વિશેષતા એ રહેશે કે એક જ સ્થળે વિવિધ રોગોના નિષ્ણાત તબીબો ઉપલબ્ધ રહેશે. જેમાં મગજ અને મણકાના રોગો ( ન્યુરોલોજીસ્ટ), પથરી અને પ્રોસ્ટેટના રોગો (યુરોલોજિસ્ટ), એપેન્ડિક્સ તથા સામાન્ય સર્જરી(જનરલ સર્જન) , હાડકાં અને સાંધાના રોગો (ઓર્થોપેડિક) , બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ (એમડી મેડિસિન) તેમજ બાળરોગ (પીડિયાટ્રિક) સહિતની વિવિધ તકલીફો (રોગ) માટે નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી જરૂરી તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશે.આ સેવાયજ્ઞમાં દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન, નિઃશુલ્ક X-Ray તેમજ જરૂરિયાત મુજબ નિઃશુલ્ક નિયમિત હાજર હસે તે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આર્થિક પરિસ્થિતિના કારણે યોગ્ય નિદાન કે નિષ્ણાત તબીબની સલાહથી વંચિત રહેતા જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યસેવાનો લાભ મળે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે.ગણેશોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે, પરંતુ સમાજસેવા, માનવતા અને લોકકલ્યાણનું માધ્યમ બને તે ભાવના સાથે શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા આ આરોગ્ય સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પ શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ, શ્રી શરણનાથ ઉપવન, શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર સામે, તળાવ કાંઠે, હળવદ ખાતે યોજાશે. હળવદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.