મોરબી : નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આગામી તા.૨જી સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન સોમેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી નગર, વાવડી રોડ, મોરબી ખાતે `વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પʼ નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડોક્ટર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, (મેડિકલ ઓફિસર(આયુર્વેદ), જનરલ હોસ્પિટલ મોરબી) દ્વારા યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરી આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા સંબંધિત બિમારીને અનુરૂપ આયુર્વેદ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર માટેના આ કેમ્પમાં ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.