એક મહિના બાદ હળવદ માર્કેટ યાર્ડ આજે ફરી ધમધમતુ હળવદ : કોરોનાની બીજી લહેરને કારણે હળવદ માર્કેટ યાર્ડ છેલ્લા એક મહિનાથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે હવે કોરોનાની પરિસ્થિતિમાં થોડો સુધારો આવતા આજથી એટલે કે અખાત્રીજના દિવસથી હળવદ માર્કેટ યાર્ડ પુન: ધમધમતું કરાયું છે. આજે પ્રથમ દિવસે વરીયાળી અને જીરુ વેચવા માટે 200 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 90 ખેડૂતો આવ્યા હતા. 13 એપ્રિલથી એક મહિનો સંપૂર્ણ બંધ રહેલું હળવદ માર્કેટ યાર્ડમાં આજે 14 મેના રોજ ફરી હરાજીનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. અહીં માર્કેટ યાર્ડમાં ખેડૂતો એકઠા ન થાય અને કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે માર્કેટ યાર્ડ દ્વારા ઓનલાઈન લિંક થકી ખેડૂતોને જણસી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યારે આજથી શરૂ થયેલા હળવદ માર્કેટ યાર્ડમાં જીરુ અને વરિયાળી વેચવા માટે 200 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 90 ખેડૂતો જીરુ અને વરિયાળી વેસવા માટે આવ્યા હતા. પ્રથમ દિવસે વરિયાળીનો ભાવ રૂ. 1125થી 1300 સુધીનો ભાવ બોલાયો હતો. જ્યારે જીરુંનો ભાવ 2250થી 2540 સુધી બોલાયો હતો. તેમજ આજે પ્રથમ દિવસે 900 મણ જીરુંની અને 4000 મણની આવક થઈ હતી. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ દ્વારા યાર્ડમાં જણસી વેચવા આવતા ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. જેથી, ખેડૂતો જે દિવસે માલ વેચવા આવવાના હોય તે દિવસે જ તેઓ રજિસ્ટ્રેશન કરાવે. જેથી, અન્ય ખેડૂતો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે. હાલ કોરોનાની પરિસ્થિતિને લઇ લિમિટેડ ખેડૂતોને જ બોલાવવામાં આવે છે. જેથી, રજીસ્ટેશન કામ પણ નક્કી થયેલ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયા બાદ બંધ કરવામાં આવતું હોય છે.