શનાળાના બે વ્યાજખોર સામે ફરિયાદ : 9 લાખના 9.52 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી મામલે સીટી એ ડિવિઝનમાં ગુન્હો નોંધાયો મોરબી : મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ થોકબંધ ફરિયાદો થવા છતાં વ્યાજખોરો સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે પટેલ યુવાનને મહિને 40 ટકા ઉંચા વ્યાજે નાણાં ધીર્યા બાદ 9 લાખના 9.52 લાખ વસુલ્યા પછી પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપવામા આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં શનાળા ગામના બે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બોનીપાર્કમાં રહેતા અને સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા કેતનભાઈ મગનભાઈ પટેલે શનાળા ગામના જયદીપ પઢારીયા મારફતે શનાળા ગામના જ માધવભાઈ જીવણભાઈ જિલરીયા પાસેથી મહિને 8 ટકા વ્યાજે 4 લાખ અને 40 ટકા તોતિંગ વ્યાજે રૂપિયા 5 લાખ લીધા હતા. જે બાદમાં વ્યાજ પેટે 6,52 હજાર અને મૂડી પેટે 3 લાખ મળી આરોપીઓને 9.52 લાખ પરત આપી દેવા છતાં આરોપીઓએ બળજબરીથી ચાર ચેક પડાવી લીધા હતા. વધુમાં બળજબરીથી મેળવેલા ચેક રિટર્ન કરાવી આરોપીઓ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપવામાં આવતા આ મામલે કેતનભાઈ પટેલ દ્વારા બને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 384, 506 (2) તેમજ મનીલેન્ડર્સ એકટની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.