મોરબી : પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાન ઘટક હેઠળ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ધરાવતું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક થયેલ સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ત્યારે 6 માર્ચના રોજ રાત્રીના સમયે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે (IAS) તથા નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા (GAS)ની આગેવાની હેઠળ કોર્પોરેશનની યુ.સી.ડી. શાખા, અને સંચાલક સંસ્થા સ્ટાફ અને મોરબી પોલીસ સ્ટાફ સહીત સ્થાનિક વિસ્તારોના ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલિંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના જુદા-જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રી દરમ્યાન આશ્રય લઈ રહેલા લોકોને તાત્કાલિક સમજાવટ દ્વારા આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને હવે પછી જાહેર રસ્તા પર સુવાને બદલે આશ્રયગૃહનો લાભ લેવા સહમત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સંચાલક સંસ્થા દ્વારા આ પ્રકારની નિયમિત નાઈટ ડ્રાઈવ દ્વારા લાભાર્થીઓને સમજાવી આશ્રયગૃહ ખાતે લાવવામાં આવે છે. ત્યારે હજુ પણ અમુક ઘરવિહોણા લોકો જાહેરમાં જ રાત્રી રોકાણ કરવા આગ્રહ રાખે છે અને પોતે તથા પરિવારજનો પર અનેક જોખમોનો ભોગ બને છે આવા સંજોગોમાં કમિશનરની ટીમ સાથેની નાઈટ ડ્રાઈવ અને ઘરવિહોણા લોકો સાથે સીધા સંપર્ક થી હવે ઘરવિહોણા લોકો આશ્રયગૃહનો લાભ લઇને વધુ હકારાત્મક વલણ અપનાવી આશ્રય મેળવશે. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 23 ઘર વિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. કમિશનર દ્વારા આશ્રયગૃહની સેવાઓ વધુમાં વધુ લોકો લે તેવા ઉમદા હેતુસર સંસ્થાના પ્રતિનિધિઓને અને સંચાલકને યોજનાકીય કાર્યપદ્ધતિ સબંધિત માર્ગદર્શન આપ્યું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુ ને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મ.નં. 97265 01810 પર સંપર્ક કરવા જણાવાયું છે.