રસી લેનાર તમામ આરોગ્ય કર્મીઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં: ખાનગી ક્ષેત્રના 75 અને સરકારી હોસ્પિટલના 25 આરોગ્યકર્મીઓને મોરબીમાં થયું રસીકરણ મોરબી: આજે શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. મોરબી શહેર અને સાપકડા ખાતે કુલ મળીને 160 આરોગ્યકર્મીઓને કોરોના વેકસિન મુકવામાં આવી હતી. આજે શનિવારે 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમનો વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે રસીકરણનો પ્રારંભ થયો હતો જેમાં સાંજ સુધીમાં કુલ 100 હેલ્થ સ્ટાફને રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ જ હળવદ તાલુકાના PHC સાપકડા ખાતે 60 હેલ્થ સ્ટાફને કોવીડ વેક્સિન આપવામાં આવેલ છે. જ્યાં રસીકરણના પ્રારંભે ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. મોરબી સરકારી હોસ્પિટલ અને સાપકડા ખાતે 5-5 તબીબોની ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું. ઉપરોકત બન્ને સ્થળો પર કુલ મળી 160 આરોગ્યકર્મીઓને રસીકરણ કરાયું હતું જેમાં ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓએ વેકસિનેશન કરાવ્યું હતું. આ પૈકી તમામ રસી લેનાર લોકોએ પુરી સ્વસ્થતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં રસી મુકવા માટે 16,755 આરોગ્યકર્મીઓનો સ્ટાફ જોડાયો હતો. જ્યારે સાંજ સુધીમાં સમગ્ર દેશમાં 1,65,714 લોકોને પ્રથમ દિવસે રસી મુકવામાં આવી હતી.