મૃતક જૈમીલ ફૂટબોલનો સ્ટેટ લેવલનો ખેલાડી હતો, ભણવામાં પણ હોશિયાર હતો : હોસ્ટેલમાં રહી અભ્યાસની સાથે ફૂટબોલની તાલીમ પણ મેળવતો હતો : પુત્રના આકસ્મિક નિધનથી વાંકાનેરના પ્રજાપતિ પરિવારમાં શોકનો માહોલ : શુક્રવારે બેસણુંમોરબી : નાની ઉંમરમાં જ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાંકાનેરના કણસાગરા (પ્રજાપતિ) પરિવારના લાડકવાયા 13 વર્ષના પુત્રનું મહેસાણા ખાતે ફૂટબોલ રમતી વેળાએ હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે પરિવાર પણ આભ તૂટી પડ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ભાજપના અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિના પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરાનો 13 વર્ષીય પુત્ર જૈમીલ કણસાગરા જે સ્ટેટ લેવલનો ફૂટબોલ પ્લેયર હોય, તેના પરિવાર દ્વારા તેને ઉચ્ચ અભ્યાસ અને ફૂટબોલ તાલીમ માટે મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ આઠમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ શાળામાં હોસ્ટેલ જૈમિલ હોસ્ટેલમાં રહેતો હતો.મળતી માહિતી મુજબ, ગત સાંજે લગભગ 5:30 વાગ્યા આસપાસ જૈમીલ શાળામાં તેના સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. તે સમયે તેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તે મેદાન પર ઢળી પડ્યો હતો. શાળા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું અવસાન થયું હતું.ઉલ્લેખનીય છે કે જૈમીલ ભણવામાં હોશિયાર હતો અને નાનપણથી જ તેને ફૂટબોલ પ્રત્યે લગાવ હતો. હાલમાં નાની ઉંમરના બાળકોમાં હૃદયરોગના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બાળક તેનો ભોગ બન્યો છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.સદગતનું શુક્રવારે બેસણું સદગતનું બેસણું તા.28ને શુક્રવારે બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી ધર્મનગર સોસાયટી, પંચાસર રોડ, વાંકાનેર ખાતેના તેમના નિવાસ સ્થાને રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. લી. સુરેશભાઈ દેવકરણભાઈ કણસાગરાજગદીશભાઈ દેવકરણભાઈ કણસાગરામહેન્દ્રભાઈ દેવકરણભાઈ કણસાગરા