દિવસ વિશેષ : 1959માં ચીની હુમલામાં શહીદ વહોરનારા પોલીસ જવાનોને યાદ કરવાનો દિવસ એટલે ‘પોલીસ સ્મૃતિ દિવસ’

- text


લદ્દાખ ખાતે સાથીઓની શોધમાં નીકળેલા 10 પોલીસકર્મીઓ અણધાર્યા ચીની હુમલામાં શહીદ થયા

પોલીસ જવાનો દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનના સન્માનમાં દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ કરાયું

મોરબી : ભારત દેશમાં દર વર્ષે તા. 21 ઓક્ટોબરના રોજ ‘પોલીસ સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. તા. 21 ઓક્ટોબર, 1959ના રોજ ચીનના સૈનિકોએ લદ્દાખ ખાતે ભારતના 10 પોલીસ જવાનોની હત્યા કરી હતી. આથી, ભારતમાં શહીદ પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ‘પોલીસ સ્મૃતિ દિવસ’ અથવા ‘પોલીસ સ્મારક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને પોલીસ-અર્ધ લશ્કરી દળો સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા ‘પોલીસ શહીદ દિવસ’ અથવા ‘પોલીસ પરેડ દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પોલીસ સ્મૃતિ દિવસનો ઈતિહાસ

તિબેટમાં ચીન સાથે ભારતની 2500 માઈલ લાંબી સરહદ છે. 21 ઓક્ટોબર 1959ના રોજ આ સરહદની સુરક્ષાની જવાબદારી ભારતના પોલીસકર્મીઓની હતી. 20 ઓક્ટોબર, 1959ના રોજ ચીની હુમલાના એક દિવસ પહેલા ભારતે ત્રીજી બટાલિયનની એક કંપનીને ઉત્તર-પૂર્વ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સના વિસ્તારમાં તૈનાત કરી. આ કંપનીને ત્રણ યુનિટમાં વિભાજીત કરીને સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. હંમેશની જેમ આ કંપનીના કર્મચારીઓ નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા. 20 ઓક્ટોબરે બપોર સુધીમાં ત્રણમાંથી બે ટુકડીઓ બપોર સુધીમાં પરત આવી ગઈ હતી. પરંતુ ત્રીજી ટુકડીના સૈનિકો તે દિવસે પાછા ફર્યા ન હતા. તે ટુકડીમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક કુલી હતા.

21 ઓક્ટોબરની સવારે પરત ન ફરનારા જવાનો માટે સર્ચ ઓપરેશન હાથ ધરવાની યોજના બનાવવામાં આવી હતી. જેનું નેતૃત્વ તત્કાલિન ડી.સી.આઈ.ઓ. કરમસિંહ કરી રહ્યા હતા. આ ટુકડીમાં લગભગ 20 સૈનિકો હતા. કરમસિંહ ઘોડા પર સવાર હતા અને બાકીના સૈનિકો પગપાળા કૂચ કરી રહ્યા હતા. ફૂટ સૈનિકોને 3 અલગ-અલગ યુનિટમાં વહેંચવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ચીની સૈનિકોએ ઓચિંતો હુમલો કર્યો અને પર્વતની પાછળથી ગોળીબાર શરૂ કર્યો.

- text

ભારતના સૈનિકો કે જેઓ તેમના ગુમ થયેલા સાથીઓની શોધમાં નીકળ્યા હતા, તેઓ હુમલા માટે તૈયાર ન હતા. તેમની પાસે જરૂરી હથિયારો નહતા. તેથી, આ હુમલામાં 10 જવાનો શહીદ થયા હતા અને મોટાભાગના જવાનો ઘાયલ થયા હતા, અને 7ની હાલત ગંભીર હતી. ચીની સૈનિકો ગંભીર રીતે ઘાયલ જવાનોને પોતાની સાથે બંદી બનાવીને લઈ ગયા. અન્ય જવાનો ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા. આમ, ભારતના સૈનિકોએ બહાદુરીથી ચીની સૈનિકોનો સામનો કર્યો અને શહીદ થયા.

આ ઘટના બાદ 13 નવેમ્બર, 1959ના રોજ શહીદ થયેલા 10 પોલીસકર્મીઓના મૃતદેહ ચીની સૈનિકોએ પરત કર્યા હતા. ભારતીય સેનાએ આ 10 શહીદ જવાનોના અંતિમ સંસ્કાર સંપૂર્ણ પોલીસ સન્માન સાથે હોટ સ્પ્રિંગ્સ ખાતે કર્યા હતા. આ શહીદોના સન્માનમાં દર વર્ષે ભારતમાં 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય પોલીસ સ્મારક

તા. 21 ઓક્ટોબર, 2018ને ‘પોલીસ સ્મારક દિવસ’ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘રાષ્ટ્રીય પોલીસ સ્મારક’નું ઉદ્ઘાટન કર્યુ હતું. આ ‘રાષ્ટ્રીય પોલીસ સ્મારક’ નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલું છે. ભારતમાં આઝાદી બાદ પોલીસ જવાનો દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનના સન્માનમાં આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

- text