શિક્ષક દિવસ સ્પેશિયલ : જાણો, બાળકોના ભાવિને જ સર્વસ્વ માનનારા જિલ્લાના શિક્ષક રત્નો વિશે

મોરબી : મોરબી જિલ્લો શિક્ષણક્ષેત્રે ખુબજ વિકાસ પામેલો જિલ્લો છે. શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પ્રકલ્પોનું આયોજન અને અમલીકરણ થઈ રહ્યું છે. એના કારણે મોરબી જિલ્લો અન્ય જિલ્લાની સરખામણીએ અગ્રીમ હરોળમાં મૂકી શકાય એમ છે. શિક્ષણક્ષેત્રની આ વિકાસયાત્રામાં અનેક શિક્ષક રત્નોનું યોગદાન છે કે, જેમણે શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને બાળકોના ભણતર, ગણતર ચારિત્ર્યના ચણતર અને જીવન ઘડતરમાં ઉત્તમ યોગદાન આપી ભાવિ ભારતના આદર્શ નાગરિકોનું સર્જન કર્યું છે.

ત્યારે આદર્શ નાગરિકો માટેના ઘડવૈયા એવા મોરબી જિલ્લાના શિક્ષક રત્નો મોરબી જિલ્લાની રચના થઈ ત્યારથી રાજ્યકક્ષાએ સન્માનિત થતા આવ્યા છે. વર્ષ ૨૦૧૪-૨૦૧૫ કમલેશભાઈ દલસાણિયા, વર્ષ ૨૦૧૫-૨૦૧૬ દિનેશભાઈ વડસોલા, વર્ષ ૨૦૧૬-૨૦૧૭ જીતેન્દ્રભાઈ પાંચોટિયા, વર્ષ ૨૦૧૭-૨૦૧૮ મહેશભાઈ ગોસ્વામી, વર્ષ ૨૦૧૮-૨૦૧૯ હર્ષદભાઈ પટેલ, વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ધનજીભાઈ ચાવડા, વર્ષ ૨૦૨૦-૨૦૨૧ પ્રવિણભાઈ પટેલ, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ વિજયભાઈ દલસાણિયાનું રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું છે જ્યારે આ વર્ષે વર્ષ ૨૦૨૨-૨૨૩ માટે વિમલભાઈ પટેલનું સન્માન કરવામાં આવનાર છે.

તો ચાલો જાણીએ મોરબી જિલ્લાના શિક્ષક રત્નોને…

માધાપરવાડી શાળાના આચાર્ય દિનેશભાઈ ધનજીભાઈ વડસોલાએ સતત ૧૭ વર્ષ સુધી સીઆરસી, બીઆરસી તરીકે કાર્યરત રહી ગુણવત્તાલક્ષી શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ કાર્ય કર્યા છે. વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી ૩૦૦ શાળામાં ‘મેગા કસોટી’ યોજવા માટે સંયોજક તરીકેની ભૂમિકા ભજવી શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધીનું કાર્ય કર્યું છે. ઉપરાંત શાળાઓમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ, એસ.ટી.પી. વર્ગો વગેરે થકી શૈક્ષણિક વિકાસયાત્રાને વેગવંતી બનાવી છે. જિલ્લાના પ્રથમ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની સેવા આપી છે એવા દિનેશભાઈએ નવી શિક્ષણ નીતિ માટે કલેકટરના સંકલનમાં રહી સુઝાવો તૈયાર કરવામાં પણ અગત્યની કામગીરી કરી છે. તેમને ‘રાજ્યના બેસ્ટ બી.આર.સી’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટીંબડી પ્રાથમિક શાળાના શિક્ષક કમલેશભાઇ દલસાણીયાએ કોરોના સમયમાં સવારથી સાંજ સુધી જાતે કલર અને પીછી લઈને ધોરણ ૧ થી ૮ નો અભ્યાસકમ શાળાની દિલાવો પર જીવંત કરી દીધો. ઉપરાંત તેમની કૃતિ દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્થાન પામે છે તો તેમના ઈનોવેશન પણ ‘ઈનોવેશન ફેર’માં પણ જિલ્લા કક્ષાએ સ્થાન મેળવે છે.

મેરૂપર પાથમિક શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડાએ શાળાને ગ્રીન શાળા બનાવી દિધી છે. હરિયાળા વાતાવરણમાં બાળકોને પણ બહુ ગમે છે. ઉપરાંત તેમની શાળાના વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ તેમજ એન.એમ.એમ.એસ. જેવી પરીક્ષાઓમાં અગ્રેસર રહે છે.

રાજપર તાલુકા શાળાના શિક્ષક દિનેશભાઈ ભેંસદડીયાએ જિલ્લાની એકમાત્ર નળીયાવાળી શાળામાંથી લાઈફ સંસ્થા સાથેના સંતત સંપર્ક અને ગ્રામજનોના સહયોગ થકી ૮૫ લાખ જેટલી રકમ મેળવી અદ્યતન વિદ્યામંદિરનું નિર્માણ કરાવ્યું છે. ઉપરાંત તેમણે શાળામાં કે.જી. શિક્ષણ તેમજ ઉનાળુ વેકેશનમાં સમર કેમ્પ થકી વિવિધ પ્રવૃતિઓ શરૂ કરાવી છે.

સભારાવાળી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાએ ‘રિશેષને બનાવો વિશેષ’ હેઠળ રિશેષમાં વિદ્યાર્થીઓને ૭૦૦ જેટલી શૈક્ષણિક પ્રવૃતિઓ કરાવેલ છે. તેમની ‘ફરતી પેન્સિલની કૃતિ’ રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામી છે. વર્કપ્લેસ એપમાં પણ તેમણે રાજ્યમાં ટોપ થ્રીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નવા મકનસર પ્રાથમિક શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ પાંચોટીયા શૈક્ષનીણીક સાધનો બનાવવામાં તજજ્ઞ છે. તેમણે બનાવેલા શૈક્ષણીક રમકડા અને વિજ્ઞાનના પ્રયોગોના ખજાના થકી વિદ્યાર્થીઓને અઘરા લાગતા વિષયો સરળ બની જાય છે. તેમની કૃતિ રાજ્યકક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચેક વખત પસંદગી પામી છે તો તમના ઈનોવેશન પણ એટલી જ વખત પસંદગી પામ્યા છે. તેમની ધોરણી ૧-૨ ના અભ્યાસક્રમ અંકિત કરેલી ટાઈલ્સની પહેલ જિલ્લાની મોટા ભાગની શાળોઓએ અપનાવી છે.

શકત શનાળા પ્લોટ શાળાના શિક્ષક હર્ષદભાઈ પટેલ અંગ્રેજી વિષયના સ્ટેટ રિસોર્સ ગૃપના સદસ્ય તરીકે અને એસ.આર.જી. તરીકે બાળકો તેમજ શિક્ષકોનું અંગ્રેજીનું જ્ઞાન વધારવામાં તજજ્ઞ તરીકે સ્ટેટ કક્ષાથી કલસ્ટર કક્ષા સુધી શ્રેષ્ઠ કામગીરી કરી છે.

પરેશભાઈ દલસાણીયાએ મોરબી જિલ્લામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી સીઆરસી કો.ઓ. તેમજ સામાજિક વિજ્ઞાન વિષયના એસ.આર.જી. તરીકે, ડિસ્ટ્રીકટ પેડાગોજી કો.ઓ. તરીકે કામગીરી કરી પ્રાથમિક શિક્ષક પરિષદ ગાંધીનગરમાં ક્યુસેલ વિભાગોમાં કોલીટી કન્ટ્રોલર તરીકે સેવારત રહી વર્ગ-૨ની પરીક્ષામાં ઉતિર્ણ થઈ નિયામક કચેરીમાં બ્રાયાન અધિક્ષક તરીકે કાર્યરત છે. મોરબીમાં પ્રજ્ઞા અભિગમની અમલવારીમાં પણે તેમનું આગવું યોગદાન રહ્યું છે.

ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે મોરબી જિલ્લામાં મહેશભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ પટેલ વગેરેની ભૂમિકા અગત્યની રહી છે. ચાલુ વર્ષે હળવદ તાલુકાની માનસર શાળામાં ફરજ બજાવતા અને કઠપૂતડીથી બાળકોને શિક્ષણ આપતા શિક્ષક વિમલભાઈ પટેલની રાજ્ય કક્ષાએ સન્માન માટે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ આવા અનેક શિક્ષક રત્નોએ મુખ પર સ્મિત, ગળામાં ગીત, હૈયામાં બાળકના હિત, બાળક પ્રત્યે પ્રીત રાખી મોરબી જિલ્લાના હજારો બાળકોને જીવન જીવવવાની રીત શીખવી છે. આજના શિક્ષક દિવસે આ તમામ શિક્ષકોને વંદન સહ અભિનંદન..