1 જુલાઈથી ધો.12 બોર્ડની પરીક્ષા શરૂ થશે : ટાઈમ ટેબલ જાહેર

- text


વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 2:30 થી સાંજે 6, સામાન્ય પ્રવાહમાં આર્ટસની સવારે 10 થી બપોરના 1:15 અને કોમર્સની બપોરે 2:30 થી સાંજે 5:45એ લેવાશે

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે) અને ધોરણ 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી મહિને 1 જુલાઈ 2021 થી 16 જુલાઈ 2021 દરમિયાન લેવામાં આવશે.

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. 1 જુલાઈના શરૂ થતી પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોર 2:30 થી સાંજે 6 વાગ્યાનો રહેશે અને પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાનનું રહશે. જ્યારે સામાન્ય પ્રવાહનું પ્રથમ પેપર નામાના મૂળ તત્વોનું રહેશે. સામાન્ય પ્રવાહમાં આર્ટસની પરીક્ષા સવારે 10 થી બપોરના 1:15 વાગે લેવામાં આવશે. જ્યારે કોમર્સની પરીક્ષા બપોરે 2:30 થી સાંજે 5:45 વાગ્યાનો રહેશે.

વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે. વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે.

- text

અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે. જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે. દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.

- text