- text
એકપણ વિદ્યાર્થી-વાલી પાસે શાળાઓ ફી નહીં ઉઘરાવી શકે : શાળાઓ માત્ર વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન જ કરી શકશે
મોરબી : કોરોના મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે પરંતુ હજુ સુધી કોઈપણ વિદ્યાર્થીને માર્કશીટ આપવામાં આવી નથી આમ છતાં મોરબી સહીત રાજ્યભરમાં ખાનગી સેલ્ફ ફાયનાન્સ શાળાઓ દ્વારા ધોરણ-11માં પ્રવેશ આપવાનું શરૂ કરતા શિક્ષણ વિભાગ ચોકી ઉઠ્યો છે, આ મામલે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ સ્પષ્ટપણે કયું છે કે જ્યાં સુધી ધોરણ 10ની માર્કશીટ ન આવે ત્યાં સુધી કોઈ પણ શાળા ધોરણ-11માં પ્રવેશ નહીં આપી શકે અને ફી પણ નહીં વસૂલી શકે.
- text
ધોરણ-10માં માસ પ્રમોશનને પગલે કમાવાનો અવસર મળ્યો હોય તેમ શાળાઓ દ્વારા દસમું ધોરણ પાસ થયાની માર્કશીટ વગર જ ધોરણ-11માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે બીજી તરફ રાજ્ય સરકારે ધોરણ-11માં પ્રવેશ માટે હજુ સુધી કોઈ નીતિ પણ બનાવી નથી અને પ્રવેશ માટે કોઈ સૂચના પણ નથી આમ છતાં મોટાભાગના પૈસે ટકે સુખી ઘરના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ધોરણ-11માં પ્રવેશ નક્કી કરી લેવાયો છે અને ફી પણ ચૂકવાઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ મામલે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, કોઈપણ શાળા ધોરણ 10ની માર્કશીટ વગર ધોરણ-11માં પ્રવેશ નહીં આપી શકે અને ફી પણ વસૂલી નહીં શકે, માત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે રજીસ્ટ્રેશન જ કરી શકશે.
- text