વાવાઝોડાને લીધે રાજ્યમાં 13ના મોત : હજુ 3850 ગામોમાં વીજળી પુરવઠો ઠપ્પ

- text


રાજ્યમાં 70 હજાર જેટલા વીજ થાંભલાઓ તૂટ્યા : વાવાઝોડાના કારણે 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો

તાકીદે નુકસાનીનો સર્વે હાથ ધરવા આદેશ સાથે યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની મુખ્યમંત્રીની જાહેરાત

મોરબી : રાજ્યમાં તાઉતે વાવાઝોડાની વિશેષ અસર થઈ છે એવા જિલ્લાઓમાં સરકારના તમામ વિભાગો યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન અને રાહત કામગીરી શરૂ કરશે. આગામી બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય અને જનજીવન સામાન્ય થઈ જાય એ પ્રકારે કાર્યવાહી કરાશે. તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદનમાં જણાવ્યું છે. આ વાવાઝોડામાં 13 વ્યક્તિઓએ જાન ગુમાવી છે. તેવું જણાવીને તેઓએ કહ્યું કે તેમાં મોટાભાગના મૃત્યુ આકસ્મિક ઘટનાઓને લઈને થયા છે. જ્યારે રાજ્યમાં 70 હજાર જેટલા વીજ થાંભલાઓ તૂટવાના કારણે વાવાઝોડાના કારણે 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે અને હજુ હજુ 3850 ગામોમાં વીજળી પુરવઠો ઠપ્પ છે.

વાવાઝોડા અને વિજયભાઈ રૂપાણીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, આવતીકાલ બુધવારથી રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની એક પણ કૉવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ જ તકલીફ પડી નથી. ગુજરાતમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 કૉવિડ હૉસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી. તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, આમ છતાં તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે એક પળ માટે પણ વીજ પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો.

વાવાઝોડાને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત્ થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકીદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત્ થઈ જાય તેવા પ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા પડવાના અને સબ સ્ટેશનમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 220 કેવીના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને અસર થઇ હતી. રાજ્ય સરકારની વીજ કંપનીઓએ 950 જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને આવતીકાલ રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, પરંતુ 81 હજાર જેટલા વીજ થાંભલા સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

- text

માર્ગ વ્યવહાર વિશે વિગતો આપતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વૃક્ષ પડવાથી ગુજરાતના 674 રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ હતા, તે પૈકીના 562 રસ્તાઓ પર માર્ગ વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો છે. 112 રસ્તાઓના રીપેરીંગ અને સાફ-સફાઈના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વહીવટીતંત્ર આગામી બે દિવસ માટે રિસ્ટોરેશન અને રાહત કામગીરી કરશે. ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વાવાઝોડા પછી પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં જઈને આરોગ્ય સર્વેક્ષણ પણ હાથ ધરશે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી ઉનાળુ પાકને ઓછું નુકસાન ગયું છે પરંતુ કેરી અને નાળિયેરી જેવા પાકોને સારું એવું નુકશાન ગયું છે. રાજ્ય સરકાર તમામ નુકસાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે અને ધારાધોરણ મુજબ આગળના નિર્ણયો લેવાશે.

- text