- text
મોરબી : ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો. ગુજરાતના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરાની રજૂઆતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર યોજનાની મુદત 3 મહિના સુધી વધારી આપી છે. જેથી આ લાભ લેવામાં બાકી રહી ગયેલા અનેક ઉદ્યોગોને યોજનાનો લાભ મળી શકશે.
મોરબીના ઉદ્યોગપતિઓ આજે બુધવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતે ગયા હતા. ત્યારે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો. ગુજરાતના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ઉદ્યોગ અગ્રસચિવ એમ. કે. દાસને રજુઆત કરી હતી કે આત્મનિર્ભર યોજના જે 31 ડિસેમ્બર 2020 સુધીની હતી. તેનો લાભ ઘણા ઉદ્યોગકારો લઈ શકતા ન હતા. તેની મુદત 31માર્ચ 2021સુધી કરવામાં આવે તો અનેક ઉદ્યોગોને લાભ થઈ શકે તેમ છે.
- text
આ રજુઆત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યોજનાની મુદત વધારવાનો ત્વરિત નિર્ણય લઈ લીધો હતો. જેથી હવે 31મી માર્ચ સુધી આ યોજનાનો લાભ લઇ શકાશે. ઉલ્લેખનીય છે કે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો. ગુજરાતના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા ઉદ્યોગોને લગતા પ્રશ્નો નિવારવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ દ્વારા રાજ્યના GDPમાં વધારો થાય તે પ્રકારે સતત પ્રયત્નો કરવામાં આવે છે. આત્મનિર્ભર યોજનાની મુદતમાં વધારો કરવાના મુખ્યમંત્રીના ત્વરિત નિર્ણયને તેઓએ બિરદાવીને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
- text