લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરનારા ટંકારાના અડીખમ યોદ્ધા

- text


ટંકારા: કોવિડ-૧૯ની મહામારી શરૂ થયા બાદ સૌથી પહેલા જનતા કરફ્યુ અને ત્યારબાદ લોકડાઉનના ચરણો શરૂ થયા. ત્યારથી લઈને હાલ ચાલી રહેલા અનલોકના ચરણ દરમ્યાન ચુસ્તપણે સરકારી ગાઈડલાઇન્સનું પાલન કરી શકે એવા બહુ જૂજ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ટંકારામાં લોકડાઉનના પ્રથમ ચરણથી સતત લોકડાઉનનું પાલન કરી રહેલા એક વૃદ્ધ દંપતિનો કિસ્સો ઉજાગર થયો છે. જે ખરેખર અન્ય પરિવારો માટે પ્રેરણા સમાન છે.

ટંકારાના નિવૃત શિક્ષક દંપતીએ ‘ધરમા રહી સુરક્ષિત રહીએ’ના સુત્રને સાર્થક કરતા એક પણ દિવસ બિમાર ન પડ્યા કે જરા પણ બેચેની ન અનુભવી. કપરા સમયને સંયમથી વિતાવ્યો અને સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગત વર્ષે ૨૪ માર્ચના દિવસે લાગુ થયેલું પ્રથમ લોકડાઉન અને તેની ગાઇડલાઇન મુજબ ધરની બહાર વગર કામે ન નિકળવાની સુચનાનું અક્ષરશઃ પાલન કરનાર એક વૃદ્ધ દંપતી ટંકારાના ત્રણ હાટડી શેરીમાં રહે છે. નિવૃત્ત શિક્ષક જવાહરલાલ ઠાકર અને તેના પત્ની ધનલક્ષ્મિબેને કપરા સમયને સંયમ સાથે પસાર કરી સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી બતાવ્યું છે. કામ વગર બેફિકરાઈથી ભ્રમણ કરતા અને નિયમો તોડતા અમુક વર્ગને ઉપયોગી શિખ આપી છે.

જવાહરલાલ ઠાકર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ધરની કિલ્લેબંધી એ કોઈ જેલ નથી પરંતુ પોતાનામાં રહેલી શકિતને સકારાત્મક ઉર્જામાં.પરિવર્તિત કરવાનો ઉત્તમ સમય છે; જે તેઓએ કોઈપણ જાતના માનસિક તણાવ વિના પસાર કર્યો છે. આમ કરીને તેઓએ કપરા કાળમાં સરકારની મદદ ઉપરાંત સમાજ સેવા પણ કરી છે. જે દરેક વ્યક્તિ-પરિવાર કરી શકે છે. તે ઉજાગર કરવું હતું આથી તેઓએ એટલા મહિનાઓ દરમ્યાન ઘરની બહાર નીકળવાનું બિલકુલ ટાળ્યું હતું.

- text

જવાહરલાલે તેઓની દિનચર્યા વર્ણવતા વધુમાં જણાવ્યું હતું કે, સવારે ઉઠી યોગ કસરત, ગરમ પાણી, લિંબુપાણીનુ સેવન કરતા હતા. રોજિંદી જીવન જરૂરી ચીજ-વસ્તુઓ જેમ કે દૂધ, શાકભાજી, કારીયાણું, ચોક્કસ વ્યક્તિ પાસે ઘેર બેઠા જ મંગાવતા રહ્યા હતા. જરૂરી દવાઓ પણ પુત્ર ડેલીએ જ મૂકીને જતો અને તેમને રૂબરૂ મળવાનું પણ ટાળતા. વૃદ્ધાવસ્થાને લઈને લેવી પડતી જરૂરી દવાઓ અંગે જવાહરલાલના પુત્ર હિરેને જણાવ્યું હતું કે, બહારગામથી લાવવી પડતી દવાઓ સહિતની ચીજ-વસ્તુઓ માટે પિતા ફોન કરે કે તરત જ હું મારા મિત્રોને ફોન કરું એટલે મિત્રો પણ માતા-પિતાને જોઈતી વસ્તુઓ ઘરના ફળિયામાં મૂકી જાય છે અને આ રીતે બધી જરૂરિયાતો પણ સંતોષાય જાય છે. આ દિવસો દરમ્યાન પતિ-પત્નિ કોઈ ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં બહાર ગયા ન હતા.

હવે જ્યારે રસી આપવાની શરૂ થઈ ગઈ છે ત્યારે આ દંપતીએ જણાવ્યું હતું કે, અમે હવે ટિકો લગાવીનેજ ધરની બહાર નિકળશુ. ત્યા સુધી હજુ ચુસ્ત પણે લોકડાઉન નુ પાલન કરીશુ. ટંકારાના આ નિવૃત શિક્ષક દંપતીએ નોકરીના વર્ષો દરમ્યાન તો સેંકડો-હજારો વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું જ હતું. પણ નિવૃત્તિ બાદ પણ પોતાના વર્તન વ્યવહારથી સમાજને પણ એક અનુકરણીય સંદેશ પાઠવ્યો છે.

- text