તંત્ર પરનો ભરોસો તૂટ્યો : વાવડી રોડની ગટરની સમસ્યા સ્થાનિકોએ જાતે ઉકેલી

- text


અનેક રજુઆત કરવા છતાં પણ તંત્રએ નીમ્ભરતાની હદ વટાવી દેતા સ્થાનિક લોકોએ ‘અપના હાથ જગન્નાથ’ની ઉક્તિને ચરિતાર્થ કરી

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રોડનું કામ ચાલતું હોય, એ દરમિયાન ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. આ ગટરની સમસ્યા હલ કરવા સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ અનેક રજુઆત કરી હતી. એની સામે તંત્રએ હદ બહારની નીમ્ભરતા દાખવતા સ્થાનિકોનો તંત્ર પરનો ભરોસો તૂટ્યો હતો અને લોકોએ જાતે જ ગટરની સમસ્યા ઉકેલવાની કાર્યવાહી કરીને ‘અપના હાથ જગન્નાથ’ની ઉક્તિને ચરિતાર્થ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર ઘણા સમય રોડનું કામ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. ત્યારે વાવડી રોડના મેઈન રોડ ઉપર ગટર ઉભરાઈ રહી છે. ઘણા સમયથી ગટર ઉભરાતી હોવાથી આ મેઈન રોડ ઉપર ગંદા પાણીના તલાવડા ભરાયા છે. વારંવાર અહીંયા ગટર ચોકઅપ થતી હોવાથી ગટર ઉભરાવવાને કારણે ગંદકીએ માજા મૂકી છે. આ ગટરની સમસ્યા હલ કરવા સ્થાનિકોએ નગરપાલિકા અને કલેકટરને અનેક વખત રજુઆત કરી હતી. તેમજ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હોવા છતાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે.

આથી, કંટાળેલા સ્થાનિક વેપારીઓ સહિતના લોકોએ જાતે જ આ ગટરની સમસ્યા હલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જેસીબીની મદદથી ગટરની સમસ્યા ઉકેલી હતી. અનેક રજુઆત કરવા છતાં તંત્રએ પોતાની જવાબદારીનો ઉલાળીયો કરી દેતા સ્થાનિકોને ગટરની સમસ્યા ઉકેલવાની ફરજ પડી હતી. જે કામ તંત્રને કરવાનું હતું તે લોકોને કરવું પડી રહ્યું છે. આમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી.

- text

- text