- text
મોરબી : ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – મોરબી શિક્ષણના માધ્યમથી રાષ્ટ્ર સેવામાં કાર્યરત છે. ભવ્ય સાંસ્કૃતિક વારસાથી વિભૂષિત ભારતીય સંસ્કૃતિમાં કર્તવ્યનું મહાત્મ્ય અનોખું અને અનેરું છે. ત્યારે 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતીથી લઈ 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જ્યંતી સુધી કર્તવ્ય બોધ દિવસ (સંકલ્પ દિવસ)ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારત દેશના યુવાનો માટે આદર્શ બે મહામાનવ એવા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની દેશ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા આજના યુવાનો સુધી પહોંચે, લોકો પોતાની ફરજને અને પોતાના કર્તવ્યને સમજે એ માટે કર્તવ્ય બોધ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે દરેક કર્તવ્ય પવિત્ર છે અને કર્તવ્ય પાલન એ ઈશ્વરની પૂજાનું ઉંચામાં ઊંચું સ્વરૂપ છે. લોકો પોતાનું કર્તવ્ય સમજે કર્મને જ ધર્મ સમજે એવી ઉદાત્ત ભાવના વિકસે એ માટે મોરબીમાં જુના શિશુ મંદિર ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-મોરબી જિલ્લાના પ્રમુખ વિજયભાઈ રાવલે જણાવ્યું હતું કે “બાળક બહાર રમતું હોય અને પાણીનો નળ ચાલુ હોય અને રમતું બાળક પાણીનો નળ બંધ કરીને પાણીનો બગાડ અટકાવે એ જ ખરી કેળવણી, કર્મને જ ધર્મ માનવામાં આવે એ જ કર્તવ્ય બોધ છે.”
વધુમાં, મુખ્ય અતિથિ તરીકે ભરતભાઈ સોલંકી (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી-મોરબી) એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવો સુંદર અને સાત્વિક કાર્યક્રમ કરવા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. પરેશભાઈ દલસાણીયા શ્રેયાન (અધિક્ષક નિયામક કચેરી, ગાંધીનગર)એ પોતાના પ્રવચનમાં સંઘની ભગિની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની વિચારધારાને વધાવતા જણાવ્યું હતું કે સંગઠન હોય એટલે માંગણી હોય એ સ્વભાવિક છે પણ માંગણી એવી ન હોવી જોઈએ કે જેના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધરૂપ હોય.
- text
દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ)એ કર્તવ્ય બોધ દિવસની ઉજવણીનો હેતુ અને મહત્વની સમજ આપી હતી. દિનેશભાઈ ગરચર ટી.પી.ઈ.ઓ. મોરબી તેમજ શર્મિલાબેન હુમલ, કિરણભાઈ કાચરોલા મહામંત્રી, પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ, ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા અને હરદેવભાઈ કાનગડ તેમજ સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી ઉપસ્થિત રહ્યા હતા. તો કર્તવ્ય બોધ દિવસની ઉજવણીને સફળ બનાવવા સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ અને રાકેશભાઈ કાંજીયા (મંત્રી, મોરબી તાલુકો) અને સમગ્ર ટીમે ખુબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ દલસાણીયા એ કર્યું હતું.
- text