આજના દિવસને મકરસંક્રાંતિ શા માટે કહેવાય છે? કેમ ભીષ્મ પિતામહે ઉત્તરાયણને દિવસે દેહત્યાગ કર્યો?

- text


આજથી સૂર્ય ઉત્તર તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે

મોરબી : જાન્યુઆરી મહિનાથી નવા વર્ષનો પ્રારંભ થઇ જાય છે. જેમાં સૌથી પહેલા ઉત્તરાયણનો તહેવાર આવે છે. ઉત્તરાયણ હિન્દુઓનો એક માત્ર એવો પર્વ છે કે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ દર વર્ષે 14મી જાન્યુઆરીએ આવે છે. સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે ત્યારબાદ જ સૂર્યની ઉતર તરફની ગતિની શરુઆત થાય છે. આથી, જ તેને ‘ઉતરાયણ’ કહેવામાં આવે છે. હિંદૂ ધર્મ પ્રમાણે મકર રાશિમાં સૂર્યના જવાની સાથે માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે. મકર સંક્રાંતિ એ ગુજરાતમાં ભારે હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવાય છે.

ભીષ્મ પિતામહ દેહત્યાગ કરવા મકર સંક્રાંતિનો દિવસ જ કેમ પસંદ કર્યો?

પૌરાણિક કથા અનુસાર મહાભારતનું યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ ભીષ્મ હસ્તિનાપુરની રક્ષા કાજે લડતાં લડતાં ઢળી પડ્યાં. તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોવાથી તેમનું શરીર બાણોથી ચારણીની માફક વિંધાઈ ગયું હોવા છતાં તે વીરગતિને પ્રાપ્ત થયા નહિં. ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મ હવે ફરી જન્મ ઈચ્છતા નહોતા. તેઓ મોક્ષ ઈચ્છતા હતા. કહેવાય છે કે જે વ્યક્તિ ઉત્તરાયણના દિવસે આત્માની ગતિ થાય તો તે મોક્ષને પામે છે. તેથી જ તેમણે ઉત્તરાયણનો દિવસ મૃત્યુ માટે પસંદ કર્યો, ત્યાં સુધી છ માસ સુધી તેઓ બાણશૈયા પર સૂતા રહ્યાં. પોતાની દ્રઢ ઈચ્છા શક્તિથી તેમણે ઉત્તરાયણના દિવસે પ્રાણ ત્યાગ્યા. અર્જુનના બાણમાંથી નિકળેલી ગંગાની ધારનું પાન કરીને તે મૃત્યુની ગોદમાં સમાય ગયા અને મોક્ષ મેળવી લીધો.

- text

શા માટે આજના દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે?

શાસ્ત્રોની કથા મુજબ આ જ દિવસે ભગવાન સૂર્યનારાયણ પોતાના પુત્ર ભગવાન શનીને મળવા માટે તેના ઘરે જાય છે. અને ભગવાન શનિને મકર રાશિના સ્વામીગ્રહ માનવામાં આવે માટે જ તેને મકરસંક્રાતિના નામથી ઓળખવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ દ્વારા અસુરો તેમજ દેવો વચ્ચે થયેલા સંગ્રામનો અસુરોના સંહાર સાથે અંત આવ્યો હતો. આ સાથે ત્યારે ભગવાન દ્વારા તમામ અસુરોના માથાને મંદાર પહાડમાં દાટી દેવામાં આવ્યા હતા. આ પ્રમાણે આ દિવસને નકારાત્મકતાનો અંત થતો હોવાનો મનાય છે.

એવું પણ કહેવાય છે કે ગંગાજી ભગીરથ રાજાની પાછળ પાછળ શિવજીની જટામાંથી ઉતરીને વિશાળ પલક પર વહેતી વહેતી કપિલ મુનિના આશ્રમ પાસે થઈને સાગરને મળી હતી. આ દિવસે જ ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. ગંગા પુત્ર ભીષ્મ પણ આ દિવસે જ મોક્ષને પામ્યા હતા.

- text