હળવદ પંથકમાં ગૌવંશ પર કહેર, વધુ એક ગૌવંશ ઉપર હુમલો

- text


પાલાસણ ગામે એક ગૌવંશ ઉપર ધારીયાના ઘા ઝીકાતા લોકોમાં ઉગ્ર આક્રોશ

હળવદ : હળવદ પંથક ગૌવંશ ઉપર કહેર વરસ્યો હોય તેમ હુમલાઓની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું છે. જેમાં થોડા દિવસો પહેલા હળવદના પાલાસણ ગામે અજાણ્યા શખ્સોએ છ જેટલા ગૌવંશ ઉપર ઘાતકી હુમલો કર્યો હતો. ત્યારે હવે આ જ ગામે વધુ એક ગૌવંશ ઉપર હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવથી લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

હળવદ પંથકમાં જાણે ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના અટકવાનું નામ જ ન લેતી હોય તેમ વધુ એક ગૌવંશ ઉપર હુમલાની ઘટના બની છે. અત્યાર સુધીમાં હળવદ પંથકમાં 22થી વધુ ગૌવંશ ઉપર હુમલો થયો હતો. આ ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના સામે ગૌપ્રેમીઓ ઉકળી ઉઠ્યા હતા. અગાઉ પોલીસને રજુઆત કરી તેમજ ગૌવંશ ઉપર હુમલો કરનાર બે શખ્સોને પકડી પાડ્યા છતાં નરાધમોને પોલીસનો ડર જ ન હોય એમ બેફામ બન્યા છે.

- text

જેમાં થોડા દિવસો અગાઉ હળવદના પાલાસણ ગામે છ જેટલા ગૌવંશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ગૌવંશ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો અને બીજા ત્રણ ગૌવંશ ઉપર ઘાતકી હથિયારોથી હુમલો કરી પગમાં ગંભીર ઇજા કરી પગને ભાંગી નાખ્યા હતા. આ ઘટનાથી હજુ લોકોને કળ વળી નથી. ત્યાં જ આજે પાલાસણ ગામે વધુ એક ગૌવંશ ઉપર કોઈએ ધારીયાના ઘા ઝીંક્યા છે. ગૌવંશ ઉપર સતત હુમલાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌપ્રેમીઓએ ગૌવંશના હુમલાઓ અટકાવવા પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text