સિરામિક ક્લસ્ટર માટે અલગ પ્રમોશન કાઉન્સિલ અને નવું સંશોધન કેન્દ્ર શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ

- text


રાજ્ય સરકારે વિગતવાર રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજુ કર્યો : મોરબીમાં નવું સંશોધન અને વિકાસ કેન્દ્ર સ્થાપવાની રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર પાસે માંગ

ગ્લોબલ લેવલે સીરામીક ઇન્ડસ્ટ્રીનું સ્થાન મજબૂત કરવા રાજ્ય સરકાર બની કાર્યશીલ : ગુજરાતના સીરામીક ઉદ્યોગનો વિશ્વના નિકાસ બજારમાં 8% હિસ્સો


મોરબી : જેમ જેમ ગુજરાતનો અને તેમાં પણ ખાસ કરીને મોરબીનો સિરામિક્સ ઉદ્યોગ વધુ ને વધુ વિકાસશીલ બનતો જાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન બનાવે છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેન્દ્રને આ ક્ષેત્રને વિશેષ ટેકો આપવા વિનંતી કરી છે. ગુજરાત સરકારે મોરબી સ્થિત ક્લસ્ટર માટે સતત કાર્યરત રહે તેવા સિરામિક નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવી શકે તેવું નવું સંશોધન અને વિકાસ કેન્દ્ર સ્થાપવાની માંગ કરી છે.

આ અંગેના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રાજ્યના ઉદ્યોગો અને ખાણ વિભાગના એક સૂત્રએ જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો વિકાસ મોરબીમાં સિરામિક્સ ઉદ્યોગ માટે વૈશ્વિક ગ્રાહકોને માલ પ્રદર્શિત કરવા માટે એક મંચ આપશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે “રાજ્ય સરકારે મોરબી અને આજુબાજુના વિસ્તારોમાં 100થી વધુ નવા સિરામિક્સ પ્લાન્ટને મંજૂરી આપી છે. જે આગામી બે વર્ષમાં રૂ. 12,000 કરોડના રોકાણ માટે રોકાણકારોને આકર્ષિત કરશે.” આગળ જણાવતા તેમણે કહ્યું હતું કે “વિકાસને વધુ વેગ આપવા માટે, રાજ્ય સરકાર સીરામીક ક્લસ્ટરને વધુમાં વધુ ટેકો આપવા વિચારી રહી છે અને કેન્દ્રને સિરામિક્સ ઉદ્યોગ માટે એક અલગ નિકાસ પ્રમોશન કાઉન્સિલની મંજૂરી આપવા વિનંતી કરી છે.” હાલમાં, સીરામિક્સ ક્લસ્ટર CAPEXIL (Chemical and Allied Export Promotion Council) હેઠળ સબમિટ થયેલ છે.

- text

સૂત્રએ જણાવ્યું હતું કે “ધ ઇપીસીજી ((Export Promotion Capital Goods) યોજના 31 માર્ચ, 2021 ના રોજ સમાપ્ત થવાની છે. અમે ભારત સરકારને આ યોજનાના વિસ્તરણની માંગ કરી છે. કારણ કે તેનાથી નાના નિકાસકારોને નોંધપાત્ર ફાયદો થશે અને નિકાસના પ્રમાણમાં સકારાત્મક અસર થશે.”

મોરબી સિરામિક્સ એસોસિએશનના વોલ ટાઇલ્સ વિભાગના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે “જો વૈશ્વિક સ્પર્ધાત્મક ક્લસ્ટર બનવું છે, તો સીરામીક ઉદ્યોગકારોએ નવા ઉત્પાદન વિકાસ અને ડિઝાઇનની બાબતમાં સંશોધન કરવાની જરૂર છે. અમારે ઉત્પાદન ખર્ચ પણ ઘટાડવાની જરૂર છે. . આથી, સીરામીક ઇન્ડસ્ટ્રીએ મોરબીમાં એક રિસોર્સ કેન્દ્ર અને એક સામાન્ય સુવિધા સ્થાપવાની માંગ કરી છે.”

મોરબી સ્થિત કંપનીઓએ યુરોપ અને દક્ષિણ અમેરિકા જેવા નવા બજારોમાં પહોંચવાનું શરૂ કર્યું છે. ઉત્પાદનોના આકાર, કટીંગ અને કેલિબ્રેશન માટે સ્થાનિક રીતે બનાવેલા મશીન ટૂલ્સનો ઉપયોગ કરવાની તેમની પહેલ દ્વારા, મોરબી એકમોએ આયાત ઘટાડી છે. ઘણી કંપનીઓનું વિસ્તરણ પણ થઈ રહ્યું છે. હાલમાં, ગુજરાતના સિરામિક્સ ઉદ્યોગનો વિશ્વના નિકાસ બજારમાં 8% હિસ્સો છે; આ આંકડો આવતા કેટલાક વર્ષોમાં બમણો થઈ ગયો હશે.

 

- text