દવા છંટકાવ અને ખાતર નાંખવાનું ખેડૂતો બે દિવસ પાછું ઠેલે : જિલ્લા ખેતીવાડી અધિકારી

- text


મોરબી જિલ્લામાં જો હવે કમોસમી વરસાદ પડશે તો નુકશાનીની સંભાવના

મોરબી : હવામાન ખાતાની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હાલ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં માવઠું વરસી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં અમુક વિસ્તારોમાં પણ હળવા અને છુટા છવાયા છાંટા પડ્યા છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે જો હવે કમૌસમી વરસાદ પડ્યો તો મોટી નુક્શાનીની ભીતિ છે.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે માવઠું પડી રહ્યું છે. શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે ત્યારે હાલ વરસી રહેલા છુટા છવાયા માવઠાની પ્રતિકૂળ અસરો વિશે મોરબી અપડેટે વિવિધ વિસ્તારોમાંથી માહિતી એકત્રિત કરી હતી.

સુલતાનપુરના સરપંચ અને ખેડૂત ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળી, જીરું, ચણા, વરિયાળી અને ઘઉં સહિતના પાકોનું વાવેતર થયું છે. જો કે બે દિવસથી છુટ્ટા છવાયા હળવા છાંટાને લઈને અત્યાર સુધી તો ઉભા પાકમાં કોઈ નોંધનીય નુક્શાનીના અહેવાલો નથી.

માળીયા તાલુકાના માણાબા ગામના ખેડૂત રાજુભાઇ પ્રજાપતિએ જુરું, ઘઉં અને ઇસબગુલના વાવેતરને લઈને જણાવ્યું હતું કે, અત્યાર સુધી પડેલા છાંટાથી ઉભા પાકમાં કોઈ નુકશાન થયું નથી પણ જો હવે વધુ ઝાપટા વરસે તો ખેડૂતોની ચિંતા કરાવશે એવી ભીતિ વ્યક્ત કરી હતી.

ખેવરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સરપંચ, તેમજ મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પ્રફુલભાઈ હોથીએ માવઠા અંગે વિગતો આપતા મોરબી અપડેટને જણાવ્યું હતું કે, જીરું, કપાસ, ઘઉં, ડુંગળી સહિતના પાકોને નુકશાન થાય એવું હજી બન્યું નથી. છુટા છવાયા છાંટા પડ્યા છે. અલબત્ત હવે આગામી બે દિવસમાં વાદળો વીંખાય એ જરૂરી બન્યું છે. બે’ક દિવસ દરમ્યાન હવે જો વધુ છાંટા પડશે તો અમુક પાકમાં રોગ આવી જવાની શક્યતા રહેશે એવી આશંકા વ્યક્ત કરી હતી.

- text

જ્યારે ટંકારા તાલુકાના ખેડૂત મગનભાઈ ભલોડિયાએ જણાવ્યું હતું કે, હાલ કપાસની વીણી પર છાંટા પડતા તૈયાર કપાસમાં ભેજ આવી જવાથી તડકો નીકળતા ખેડૂતોએ કપાસ સુકવણીને લઈને મહેનત કરવી પડશે. વળી નહિવત છાંટા પડતા ઉભા પાકમાં વધુ ભેજને લઈને રોગ ન ઉદભવે એ માટે દવાનો છંટકાવ કરવો પડી શકે છે. બાકી હાલ નહિવત માવઠાની પ્રતિકૂળ અસર ઉભા પાક પર પડી નથી એવું મગનભાઈએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચિત દરમ્યાન જણાવ્યું હતું કે, જિલ્લામાં એક એમ.એમ. કરતા ઓછા છાંટા પડ્યા છે જે હાલ ઉભા પાક માટે નુકસાનકારક નથી. જીરું, ધાણા, ઇસબગુલ સહિતના પાકોમાં હાલ બે-ત્રણ દિવસ દવાનો છંટકાવ ન કરવા તેમજ ખાતર ન નાંખવાની તેઓએ સલાહ આપી જણાવ્યું હતું કે જે સ્થળે વધુ છાંટા પડ્યા હોય ત્યાં બે’ક દિવસ પાકને પિયત કરવાનું પાછું ઠેલવું જોઈએ. ભેજયુક્ત વાતાવરણમાં જીરું, ધાણા સહિતના પાકમાં રોગ ન આવી જાય એ અંગે તકેદારી રાખવાનું પણ ખેતીવાડી અધિકારીએ અંતમાં જણાવ્યું હતું. એકંદરે મોરબી જિલ્લામાં છુટ્ટા છવાયા વરસેલા માવઠાની નહિવત જેવી પ્રતિકૂળ અસરો હાલ જોવા મળી રહી છે.

- text