“ગરીબીની અમીરી” : રસ્તા પર રહેતા બચુ બાપા ટોકનદરે ભુખ્યાઓને જમાડે છે ભરપેટ ભોજન

- text


દિલ્હીના ‘બાબા કા ઢાબા’ની જેમ મોરબીમાં પણ છે ‘બચુ બાપા કા ઢાબા’ : જિંદગીના અંતિમ પડાવમાં ઝઝૂમતા વૃદ્ધ વગર પૈસે આવતા સેંકડો ભુખ્યાજનોને પણ કરાવે છે ભાવતા ભોજનીયા

મોરબી : ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવી એ સૌરાષ્ટ્રની તાસીર છે. એટલે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે અન્નક્ષેત્રો ધમધમે છે. ત્યારે અહીં આપણે એવા સેવાભાવીની વાત કરવી છે કે જેઓ ભૂખ્યાજનોની આંતરડી ઠારવા માટે આજે 72 વર્ષની વયે પણ અન્નક્ષેત્ર જેવી સેવા ચલાવી રહ્યા છે. જો કે તેમણે ભુખ્યાજનોના ભોજન માટે શાક-પાંદડાનો ખર્ચ કાઢવા માત્ર મામુલી રકમ નિશ્ચિત કરી છે. પણ આ રકમ ‘દે તો ભલા અને ન દે તો ભી ભલા’ની માફક તેમના અન્નક્ષેત્રમાં આવેલું કોઈ ભૂખ્યું જતું નથી.

મોરબીના મૂળ રંગપર ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા અને ખાસ કરીને શહેરના સ્ટેશન રોડ ઉપર સુરજબાગની દીવાલે નાની એવી ઝૂંપડી બનાવીને રહેતા 72 વર્ષના બચુ બાપા ત્યાં જ નાની એવી કેબીન અને ટેબલ રાખીને બચુ બાપાના ઢાબાના નામે વર્ષોથી ભુખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા માટે સેવાયજ્ઞ ચાલવી રહ્યા છે. દિલ્હીમાં જેમ ‘બાબા કા ઢાબા’ છે, તેમ મોરબીમાં ‘બચુ બાપા કા ઢાબા’ના નામે સેવાયજ્ઞ ચાલે છે.

બચુબાપા માત્ર રૂ.40 માં ભુખ્યાજનોને ભરપેટ ભોજન કરાવે છે. જો કે ભોજન કરવા માટે માત્ર રૂ. 40નો ભાવ રાખ્યો છે. પણ કોઈ તેનાથી ઓછા એટલે રૂ. 10 કે 20 રૂપિયા આપે તો પણ રાજીપો વ્યક્ત કરીને એ રકમ લઈ લે છે અને કદાચ કોઈ દરિદ્ર નારાયણ આટલી રકમ ન આપે તો પણ તેઓ તેમને પ્રેમથી આરોગ્ય પ્રદ ભરપેટ ભોજન કરાવે છે. આવા તો આવા અનેક લોકોને તેઓ રોજ જમાડે છે. જો કે આ ભાવ તો તેમણે માત્ર શાકભાજીનો ખર્ચ કાઢવા માટે રાખ્યો છે. પોતાની આજીવિકા માટે નહીં. આ ઢાબા પાછળ એમનો કમાણી કરવાનો કોઈ આશય નથી. માત્ર થોડા રૂપિયામાં પણ ગરીબ લોકો ભરપેટ ભોજન કરી શકે તેવો જ તેમનો ઉદેશ્ય છે.

રૂ. 40ની થાળીમાં ત્રણ સ્વાદિષ્ટ શાક, રોટલી-દાળભાત, છાશ, પાપડ, અથાણા હોય છે. ટૂંકમાં ભુખ્યાજનોને ઓડકાર આવી જાય તેટલુ જમવાનું પીરસે છે. હાલના મોંઘવારીના જમાનામાં સામાન્યમાં સામન્ય હોટલ કે ઢાબામાં 100 રૂપિયાથી નીચે થાળી મળતી નથી. ત્યારે આ બચુ બાપા માત્ર રૂ. 40માં ગુજરાતી થાળીમાં જેટલી વસ્તુઓ હોય તેટલી વસ્તુઓ પીરસીને ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરે છે. જો કે અહીં પછાત અને ગરીબ વિસ્તાર છે. આથી, દરરોજ બચુ બાપાના ઢાબામાં 50 જેટલા લોકો જમવા આવે છે. તેમાંથી 10 લોકો એવા હોય છે કે જેમની પાસે પૈસા હોતા નથી. પણ આ બાપાનો પ્રેમાળ સ્વભાવને કારણે તેમના ઢાબામાં કોઈ જમ્યા વગર જતા નથી.

બચુ બાપા પરિવાર સાથે રહીને 40 વર્ષ પહેલા ગાંઠિયાની લારી ચલાવતા હતા. તેમને એક જ દીકરી છે તે પણ પરણીને સાસરે જતી રહી છે. અને પત્નીનું 10 મહિના પહેલા અવસાન થયું છે. હવે એકલા હોવા છતાં પણ જાતે જ લોટ બાંધી તથા શાક બનાવીને લોકોને જમાડે છે. બાપા પાસે કોઈ મૂડી નથી. તેઓ ભોજનના 40 રૂપિયા લે છે. એમાં પણ માત્ર 100 રૂપિયા જ બચે છે. ક્યારેક એ રકમ પણ બચતી નથી.

- text

મોરારી બાપુ પાસેથી પ્રેરણા મળી અને સેવાયજ્ઞ ચાલુ કર્યો

બચુબાપા કહે છે કે 35 વર્ષ પહેલા તેમને મોરારી બાપુ સાથે મળવાનું થયું હતું. ત્યારે મોરારી બાપુએ લોકોને ઉપયોગ સારું કાર્ય કરવાની શીખ આપી હતી. ત્યારથી બચુ બાપાએ આ સેવાયજ્ઞ ચાલુ કર્યો અને આજે 72 વર્ષની ઉંમરે પણ નિસ્વાર્થ ભાવે લોકોને પ્રેમથી જમાડીને જીવશે ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાનું જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text