મોરબીના જોન્સનગર વિસ્તારમાં પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી કરાઈ

- text


15થી વધુ બમ્પ અને ડેલાને તોડી પાડ્યા, મચ્છીપીઠમાં 24 દબાણકારોને નોટિસ

મોરબી : મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. આ બનાવની ગંભીરતાથી લઈને પોલીસ અને પાલિકા તંત્રએ મચ્છીપીઠ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી કરી હતી. જેમા મચ્છીપીઠમાં 24 દબાણકારોને નોટિસ ફટકારી હતી. તેમજ જોન્સનગર વિસ્તારમાં પોલીસ અને પાલિકાની ટીમે ડીમોલેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં બનાવેલા બિનજરૂરી 15 થી વધુ બમ્પ અને એક ગેરકાયદે ડેલાને તોડી પાડ્યા હતા.

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં આજે ડીવાયએસપી રાધિકા ભરાઈ, એ ડિવિઝન પીઆઇ. જે. એમ. આલ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને પોલીસે આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીગ કર્યું હતું. તેમજ પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારમાં દબાણોનો સર્વે કરવામાં આવ્યો હતો અને ગેરકાયદે દબાણો કરનાર 24 લોકોને નોટિસ ફટકારી હતી. આ દબાણકારોને આગામી 3 તારીખ સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવાની મુદત આપવામાં આવી છે. આમ છતાં પણ દબાણો નહિ હટાવાઈ તો ડીમોલેશનની કામગીરી કરાશે તેવી ચીફ ઓફિસરે ચેતવણી આપી છે.

- text

લાતીપ્લોટ પાછળ આવેલા જોન્સનગર વિસ્તારમાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જોન્સનગર વિસ્તારમાં ગેરકાયદે ડેલો ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જો કે ગઈકાલે રાત્રે એસપી કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ મચ્છી પીઠ અને જોન્સનગર વિસ્તારમાં સઘન પેટ્રોલીગ કર્યું હતું અને જોન્સનગર વિસ્તારમાં ગેરકાયદેસર બમ્પ બનાવવામાં આવ્યા હતા. તે નડતરરૂપ હોવાથી 15થી વધુ બમ્પને તોડી પાડવામાં આવ્યા હતા અને આજે જોન્સનગરમાં ડેલાને પણ તોડી પાડવામાં આવ્યો હતો.

- text