કોરોનાને પહોંચી વળવાની તૈયારી : જેતપર અને માળીયામાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી શરૂ

- text


માળીયામાં પણ હવે કોરોનાનો પગપેસારો થતા આરોગ્ય તંત્ર વધુ સાબદુ બન્યું
માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ ખડેપગે રખાશે

મોરબી : મોરબી જિલ્લાનો એક પણ તાલુકો હવે કોરોનાના કહેરથી બાકાત રહ્યો નથી. અત્યાર સુધી કોરોનાથી બાકાત રહેલા માળીયા તાલુકામાં પણ ગઈકાલે કોરોનાની એન્ટ્રી થઈ હતી. આથી, મોરબી જિલ્લાનું આરોગ્ય વધુ એલર્ટ બન્યું છે અને કોરોનાના દર્દીઓની સારવારને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા મોરબીના જેતપર અને મળિયામાં આઇસોલેશ વોર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

મોરબીના જેતપર અને મળિયામાં આઇસોલેશ વોર્ડ બનાવવા માટે કલેકટરની મંજૂરી લઈને આ કામગીરી ઝડપથી કરવામાં આવશે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ જણાવ્યું છે. જો કે સૌપ્રથમ આઇસોલેશ વોર્ડની મોરબી સિવિલ હોસ્પિટલમાં અને હળવદ તથા વાંકાનેરમાં સુવિધા હતી. આ સ્થળોએ કોરોનાના કેસો વધતા આ સુવિધા સિવિલ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી હતી. બાદમાં ટંકારામાં પણ કોરોનાના કેસ વધતા ત્યાં પણ આઇસોલેશ વોર્ડની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. જ્યારે મોરબીની ખાનગી હોસ્પિટલો સદભાવના અને આયુષમાં પણ આ આઇસોલેશ વોર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે.

- text

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશ વોર્ડમાં 100 બેડ, હળવદમાં 10 બેડ, વાંકાનેરમાં 10 બેડ, સદભાવનામાં 15 બેડ, આયુષ હોસ્પિટલમાં 10 બેડ અને ટંકારામાં 4 બેડની સુવિધા છે. તેમજ હવે માળીયા અને જેતપરમાં બેથી ત્રણ બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરશે. જો કે માળીયામાં મોટી બરાર ગામે કોવિડ કેર સેન્ટર છે. પણ હવે કોરોનાનો કેસ આવતા ત્યાં આઇસોલેશ વોર્ડની સુવિધા ઉભી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે અને કલેકટર પાસે મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ ખડેપગે રખાશે.

રેપીડ ટેસ્ટની વધારાની 300 કીટ આવી પહોંચી

મોરબીમાં થોડા દિવસો અગાઉ કોરોના માટે આરોગ્ય તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટની 200 કીટ આવી હતી. હવે વધારાની રેપીડ ટેસ્ટની 300 કીટ આવી ગઈ છે. તેથી, આ રેપીટ ટેસ્ટ કિટથી ટેસ્ટની કામગીરી વધુ સઘન બનશે.

- text