- text
વિદ્યાર્થી એકતા સંગઠને તંત્ર સામે ઉઠાવ્યા અનેક સવાલો
ટંકારા : લોકડાઉન 1.0થી લઈને અનલોક 2.0 દરમ્યાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તમામ પ્રકારની શૈક્ષણિક કાર્યવાહી સ્થગિત કરવાના આદેશો આપ્યા બાદ શાળા-કોલેજો, ટ્યુશન તેમજ કોમ્પ્યુટર કલાસીસ સહિતની સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે ઓનલાઈન એજ્યુકેશનનો વિચાર પણ અમલમાં મુકવામાં આવ્યો છે ત્યારે ટંકારામાં તંત્રના બધા નિયમોને નેવે મૂકીને અમુક ટ્યુશન ક્લાસિસમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા હોવાનો સનસનીખેજ આક્ષેપ વિદ્યાર્થી એકતા સંગઠને કર્યો છે.
- text
વળતર માટે ભણતરની આ વિચારધારા ટંકારામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના જોખમે ચાલી રહી હોવાનું જણાવતા વિદ્યાર્થી એકતા સંગઠને ટંકારામાં ખુલ્લેઆમ ચાલતા ટ્યુશન કલાસીસ સંચાલકો અને તંત્રની મિલીભગતનો સણસણતો આક્ષેપ કર્યો છે. જ્યારે શિક્ષણ વિભાગની કચેરી ટંકારા ખાતે આવેલી હોય ત્યારે મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસિસે જતા બાળકો તંત્રની નજરે કેમ ચડતા નથી એવો સવાલ પૂછી ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠને શિક્ષણાધિકારી સામે તપાસની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, વધતા જતા કોરોના સંક્રમણને લઈને જનસુવિધા કેન્દ્રો સહિતની સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે ત્યારે જ્યાં સોશિયલ ડિસ્ટનસનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય એવા ટ્યુશન કલાસ ચાલુ થતા લોકોમાં આ બાબતે ચર્ચા થઈ રહી છે.
- text