મોરબીના સાવસર પ્લોટમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની હિલચાલ સામે સ્થાનિકોનો વિરોધ

- text


સાવસર પ્લોટમાં રહેતા લોકો, ડોકટરો અને વકીલો તેમજ પાલિકાના સભ્ય સાહિતનાએ રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર બનવવાનો વિરોધ કર્યો

સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના વિસ્તારમાં કોવિડ સેન્ટરને ન ખોલવા દેવાની માંગ કરી

મોરબી : મોરબીના સાવસર પ્લોટના રહેણાંક વિસ્તારમાં તંત્ર અને ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવાની હિલચાલ ચાલી રહી છે. તેથી, સાવસર પ્લોટની આજુબાજુમાં રહેતા ડોકટરો, વકીલો તેમજ પાલિકાના સભ્ય સહિતના સ્થાનિકોએ આ કોવિડ સેન્ટર સામે વિરોધ નોંધાવ્યો છે. અને સ્થાનિક લોકોએ વાંધા અરજી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું છે. તેમના વિસ્તારમાં કોરોના સેન્ટર ખુલે તો સ્થાનિકો ઉપર કોરોનાનો ચેપ લાગે તેવી ભીતિ વ્યક્ત કરીને કલેકટર સમક્ષ તેમના વિસ્તારમાં કોવિડ સેન્ટરને ખોલવાની મંજૂરી ન આપવાની માંગ કરી છે.

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારની શેરી નંબર 1 થી 3 માં રહેતા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, સાવસર પ્લોટ, ક્રિષ્ના ટાવેલ્સ સામે, એસબીઆઈ બેંકની પાછળ અગાઉ લાઈફ લાઈન હોસ્પિટલ હતી. તે ડો. અનિલ પટેલની હોસ્પિટલ સામે છેલ્લા બે દિવસથી સાફસૂફી કરીને ત્યાં કોરોના સેન્ટર ખોલવાની હિલચાલ ચાલી રહી છે. આથી, આજુબાજુમાં રહેતા ડોકટરો, વકીલો તેમજ સ્થાનિક લોકોએ કોરોના સેન્ટર ખોલવા સામે વિરોધ નોંધાવ્યો છે. તેમજ પાલિકાના સદસ્ય દીપકકુમાર રમણિકલાલ પોપટએ પણ આ કોરોના સેન્ટર સામે લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે. અને સ્થાનિકોના આરોગ્યના હિતમાં કોરોના સેન્ટરને મંજૂરી ન આપવાની માંગ કરી છે. સ્થાનિકોના કહેવા મુજબ સાવસર પ્લોટમાં મોટાભાગનો રહેણાંક વિસ્તાર આવેલો છે. તેમજ હોસ્પિટલો, દુકાનો અને મેઈન માર્કેટ બજાર આવેલી છે. તેથી, જો આ ભરચકક વિસ્તારમાં કોરોના સેન્ટર ખુલે તો સ્થાનિકોને પણ કોરોનાનો ચેપ લાગવાની ભીતિ છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, સાવસર પ્લોટમાં કોરોના કેર સેન્ટર ખુલે તો કોરોનાના દર્દીઓના કિટાણુઓ તેમજ મેડિકલ વેસ્ટથી સાવસર પ્લોટ વિસ્તારમાં કોરોના ફેલાવવાની પૂરેપૂરી શકયતા છે. આ વિસ્તારમાં બુઝુર્ગો તેમજ બાળકો અને મહિલાઓને કોરોનાનો ચેપ લાગે તો મોટી મુસબીત આવી પડે તેમ છે. ખાસ કરીને કોરોનાથી બુઝુર્ગો ઉપર વધુ જાનનું જોખમ છે. કોરોના સેન્ટર ખોલવાથી સાવસર પ્લોટ વિસ્તારમાં મહામારી વધુ ફેલાવાની દહેશત છે. તેથી, સાવસર પ્લોટ આજુબાજુના ડોકટરો, વકીલો, પાલિકાના સભ્ય સહિતના લોકોએ કોરોના સેન્ટર શરૂ કરવા સામે વિરોધ નોંધાવીને કલેકટર સમક્ષ તેમના વિસ્તારમાં સ્થાનિકોના આરોગ્યના હિતને ધ્યાને લઈને કોઇપણ સંજોગોમાં કોરોના સેન્ટરની મંજૂરી ન આપવાની માંગ કરી છે. અને જો આ અહીં કોરોના કેસ સેન્ટર શરૂ કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવાની સ્થાનિકોએ ચીમકી આપી છે.

- text