- text
શિવાલયોમાં ઘંટ નહિ વાગે, પુજા વિધિ, આરતી સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ
મોરબી : આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ એટલે શિવભક્તિ કરવાનો સોનેરી અવસર ગણાય છે. પણ આ વખતે કોરોનાનું ગ્રહણ નડયું છે. એટલે મોરબીના મોટાભાગના શિવાલયોમાં શ્રાવણે માત્ર શિવ દર્શન જ થઈ શકશે. શિવાલયોમાં ઘંટ નહિ વાગે અને પુજાવિધિ, આરતી સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
- text
મોરબીના મોટાભાગના શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે માત્ર શિવ દર્શનની જ છૂટ આપવામાં આવી છે. મોટાભાગના શિવાલયોમાં સ્વંયભુ રીતે શિવ દર્શન સિવાયના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલ અગનેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ નીલકંઠ મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર સહિતના મોટાભાગના શિવાલયોમાં શ્રાવણે માત્ર શિવ દર્શન જ શક્ય બનશે. અને પૂજા વિધિ, આરતી સહિતના તમામ ધાર્મિક કાર્યકર્મો રદ કરી દેવામાં આવ્યા છે. અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શિવાલયોમાં ઘંટ પણ કાઢી નાખવામાં આવ્યા છે. જોકે આજથી શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજશે અને ભક્તો ભગવાન ભોળનાથ સમક્ષ કોરોનાને જડમૂળથી ઉખેડી ફેંકવાની પ્રાર્થના કરશે.
- text