મોરબી : પરીક્ષા દરમ્યાન ગેરવર્તન કરનાર શિક્ષકને બરતરફ કરાયા

- text


ખુલાસો કરવાની વારંવાર તક આપ્યા છતાં શિક્ષકે ઉપેક્ષા કરતા આખરે આકરું પગલું લેવાયું

મોરબી : ગત 3 ડિસેમ્બરે ફરજ મોકૂફ કરાયેલા શિક્ષકને વારંવાર તક આપ્યા છતાં તેઓ નિયત સમય મર્યાદામાં પ્રાથમિક શિક્ષણ કચેરી સમક્ષ ખુલાસો આપવા રજૂ ન થતા આખરે આસી.શિક્ષકને કાયમી ધોરણે બરતફ કર્યા છે.

- text

મોરબી ઇન્દિરા પ્રાથમિક શાળા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ આદ્રોજા નામના શિક્ષકને આજે કાયમી ધોરણે ફરજમુક્ત કરવામાં આવ્યા છે. ગત ડિસેમ્બર માસમાં પ્રાથમિક-માધ્યમિક પરીક્ષામાં અનધિકૃત રીતે પ્રવેશ કરી સરકારી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ સાથે મારામારી કરી સરકારી કામમાં રુકાવટ કરી હતી ત્યારે જે તે કર્મચારી મારફત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી અને ખાતાકીય રાહે પણ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ ગઈ 3 ડિસેમ્બરથી તેઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. આ ફરજ મોકૂફી દરમ્યાન તેઓને તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી કચેરી મોરબીમાં મુકવામાં આવેલ ત્યારથી લઈને અત્યાર સુધી પ્રાથમિક તપાસ અધિકારી અને ખાતાકીય તપાસ અધિકારી સમક્ષ રજૂ થવાની અનેક તકો આપેલી હોવા છતાં એક પણ વખત ઉક્ત કર્મચારી પોતાનો પક્ષ મુકવા કે ખુલાસો રજૂ કરવા માટે હાજર રહ્યા ન હતા. તપાસ સમિતિના અભિપ્રાય મુજબ ઉક્ત કર્મચારી દોષિત માલુમ પડેલ છે. આથી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તપાસ સમિતિના અભિપ્રાય મુજબ પંચાયત સેવાના નિયમો અને મળેલી સત્તાની રૂએ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949 અન્વયે રોહિતભાઈ અદ્રોજાને તમામ સેવાઓ માટે કાયમી ધોરણે બરતરફ કરવામાં આવતા શિક્ષણ જગતમાં સોંપો પડી ગયો છે.

- text