- text
હળવદ : હળવદ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. તેવા સમયે વીમા કંપની પણ ખેડૂતોને વળતર આપવામાં નનૈયો ભરતી હોય, જેને કારણે ખેડૂતો લાલઘૂમ બન્યા છે. તેથી, હળવદ તાલુકાના મેરૂપર ગામે પાક વીમા બાબતે ખેડૂતોએ એકઠા થઇ હાઈકોર્ટના દ્વાર ખટખટાવાની તૈયારી દર્શાવી હતી.
- text
માવઠાને કારણે ખેડૂતને મોટો ફટકો પડયો છે. ઓછામાં પૂરું પાક નુકસાનીના સર્વેમાં પણ ગેરરીતિ આચરવામાં આવતી હોવાની પંથકના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમજ જોગવાઈ પ્રમાણે સર્વે ન થતો હોવાનું ખેડૂતો માની રહ્યા છે. ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના મેરૂપર ગામે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડીયાની આગેવાનીમાં ખેડૂતોના હક્ક અને પાક વીમા સહિતની બાબતોને લઇ આગામી લડત માટે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ સર્વેના કામમાં ગોટાળા થઈ રહ્યા છે અને ખેડૂતોને પાક વીમા માટે જે તકલીફો પડી રહી છે તેની માટે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના મેરૂપર ગામના ૩૦૦ ખેડૂતોમાંથી માત્ર વીમા કંપની દ્વારા એક જ ખેડૂતને વીમો આપ્યો છે. બાકી ખેડૂતોને હજુ સુધી મળ્યો નથી.
- text